કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કુલ ચાર તળાવો સહિત 1651 કરોડના કાર્યોનું કર્યું લોકાર્પણ
Live TV
-
કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, કોમ્યુનિટી હોલ, ઉદ્યાન, ઓવરહેડ ટાંકી સહિતના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં આશરે 1651 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની શરુઆત કરાવશે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીએ સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 5 કરોડના ખર્ચે ભાડજ તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓગણજ ગામ ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમહુર્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ પણ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શહે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમે નાગરિકોને માગ્યા પહેલા જ સુવિધાઓ આપી છે. સર્વસમાવેશી વિકાસના અભિગમની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે વિકાસ કાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં 17,544 કરોડના ખર્ચે 11,000 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેના બદલ ગાંધીનગરના સાંસદ તરીકે તેમણે રાજ્ય સરકારનો આભાર માનીને સ્થાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં
ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, એક કામ કરતા ૫૦ વર્ષ લાગે એવા ચાર કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની આગેવાનીમાં માત્ર ત્રણ મહિનામાં થયા. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીની આગેવાનીમાં G20 સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્વ સ્તરે ખ્યાતિ પાત્ર બન્યું જેમાં સર્વાનુમતે દિલ્હી ડેકલેરેશનની સ્વીકૃતિ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, આફ્રિકન યુનિયનને G20 સંગઠનમાં સમાવી નરેન્દ્રભાઇએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્વને આપ્યો છે. G20નું આવું સફળ આયોજન અન્ય દેશો માટે એક ચેલેન્જ બની જશે. એમ તેમણે ઉમેર્યું હતું.
મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા અમિતભાઇ શાહે કહ્યું કે, ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનો લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાખ્યો હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય તેમને આપ્યો.
અમિતશાહે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદાથી મહિલા શક્તિને નેતૃત્વમાં ભાગીદારી આપી મહિલા સન્માનના આપણા પ્રાચીન સંસ્કારોને કાયદાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે એમ તેમણે ઉમેર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, ઓવરહેડ ટાંકી, ત્રાગડ ખાતે લલિતા ગોવિંદ ઉદ્યાન, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન સહિતના AMC અને ઔડાના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્ય સહકારીતા મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ,નરહરિ અમીન, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, અમિતભાઇ ઠાકર, બાબુભાઇ જે. પટેલ, બાબુસિંહ જાદવ, કંચનબેન રાદડિયા, દર્શનાબેન વાઘેલા, ડૉ.પાયલ કુકરાણી, દિનેશસિંહ કુશવાહ, કૌશિકભાઈ જૈન તેમજ શહેર મેયર પ્રતિભાબેન જૈન, ડે.મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ મનપાના કમિશનર એમ.થેંનારસન, ઔડાના સીઈઓ ડી.પી. દેસાઈ તથા સ્થાનિક કાઉન્સિલર તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
