કોરોના રસીકરણ અને નાગરિક સલામતી એ પ્રાથમિકતા
Live TV
-
કોરોનાના રસીકરણ વખતે નાગરિકની સલામતી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા-નિતીન પટેલ
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાં નાગરિકની સલામતી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને એટલે જ તમામ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ જ નાગરિકોને રસી આપવામાં આવશે. અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા- સદવિચારમાં મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિનનું આર્થિક ભારણ ગરીબ અને મધ્યમવર્ગ પર ન આવે તેની દરકાર પણ રાજ્ય સરકાર કરી રહી છે.
શ્રી નિતીન પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ફ્રંટલાઈન વોરિયર્સ- મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, બીજા તબક્કામાં આશા વર્કર અને પોલીસ જવાનો અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝન અને કો-મોર્બિડની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે. કોરોના વોરિયર્સને વિના મૂલ્યે રસી અપાશે. તેમણે મોક્ષવાહિની રથની ભેટ બદલ દાતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, દાન આપવાની ગુજરાતની ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવી છે.
