ગાંધીનગરઃ PM મોદીએ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન સમિટનું ઉદ્ધાટન કર્યું
Live TV
-
ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન સમિટની શરુઆત થઈ છે. આ સમિટના ઉદ્ધાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ, WHOના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ દિવસ સુધી ચાલનારી ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન સમિટમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સમિટમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે. આ સંમેલનથી રોકાણની સંભાવનાઓ ઉજાગર કરવામાં મદદ મળશે અને આવિષ્કાર, સંશોધન અને વિકાસને તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને સુખાકારી ઉદ્યોગને વેગ મળી શકશે. આ સંમેલનથી ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો અને વિદ્વાનોને એકમંચ પર એકઠા કરી શકાશે અને ભવિષ્યના સહયોગ માટેના મંચ તરીકે પણ તે કામ કરશે.
આ દરમિયાન WHOના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસે પોતાની સંબોધનની શરુઆત ગુજરાતી ભાષામાં કરી હતી. તેમણે ગુજરાતીમાં કહ્યું હતું કે, "હું મહાત્મા ગાંધીની આ ભૂમિમાં આવીને ખુશ છું". ત્યાર બાદ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે પણ પોતાના સંબોધનના અંતમાં ગુજરાતીમાં કહ્યું કે, ગુજરાતની મારી મુલાકાત અદ્ભુત રહી. ગુજરાતનું પ્રસિદ્ધ ભોજન અને ઉમળકાભર્યા સત્કાર જોઈને મને ઘણો આનંદ થયો.
