ગાંધીનગર: કૃષિ વિભાગમાં 415 યુવાઓની નિમણૂક, મુખ્યમંત્રીએ ખેડૂત કલ્યાણના મંત્ર સાથે પત્રો કર્યા એનાયત
Live TV
-
રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં પસંદગી પામેલા 415 નવા ખેતી મદદનીશોને રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક પત્રો આપવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક રૂપે 21 યુવાઓને રૂબરૂ નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા, જ્યારે અન્ય ઉમેદવારોને ઈ-મેઈલ દ્વારા પત્રો મોકલી દેવામાં આવ્યા છે.નવનિયુક્ત ઉમેદવારોને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાસાયણિક ખેતી ઘટાડીને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા એ મોટી ઈશ્વરીય તક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભરતાની અપીલને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવાની જવાબદારી હવે આ યુવા વર્કફોર્સના શિરે છે. તેમણે ઉમેદવારોને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ખેડૂતોને માર્ગદર્શન આપવા અને વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાને કારણે આજે યુવાનો કોઈ પણ વચેટિયા કે ભલામણ વગર માત્ર મેરિટના આધારે સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે. મંત્રીશ્રીએ નવા કર્મચારીઓને ‘કર્મયોગી’ ગણાવી સલાહ આપી હતી કે, શરૂઆતના વર્ષોમાં ફિલ્ડ વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીને અનુભવ મેળવવો જોઈએ, જે તેમને ભવિષ્યમાં સક્ષમ અધિકારી બનાવવામાં મદદરૂપ થશે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, કૃષિ અગ્ર સચિવ આર.સી. મીણા તેમજ કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આયોજન પારદર્શક પદ્ધતિથી કરવામાં આવ્યું હતું, જે બદલ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
