ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો
Live TV
-
મહાનુભાવોના હસ્તે વિવિધ વિદ્યાશાખાના 147 વિદ્યાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા
ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (IIPHG) યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ભારત સરકારના સ્પેસ કમિશનના સભ્ય એ. એસ. કિરણકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ, માસ્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન અને એસોસિયેટ ફેલો ઑફ ઈન્ડસ્ટ્રિયલ હેલ્થના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
સમારોહના અધ્યક્ષ કિરણકુમારે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભારત દેશ વિશ્વગુરુ બનવાની ક્ષમતા ધરાવે છે અને તે જ દિશામાં આગળ પણ વધી રહ્યો છે. જ્યારે સમગ્ર વિશ્વ કોવિડની મહામારી સામે લડી રહ્યું હતું, ત્યારે ભારતે રસી બનાવી અને સાથે જ અન્ય દેશોમાં પણ રસી ઉપલબ્ધ કરાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, જાહેર આરોગ્ય ક્ષેત્રે વિવિધ સંશોધનો અને નવી તકનીક વિકસાવવામાં યુવા પેઢીનું યોગદાન મહત્વપૂર્ણ પૂરવાર થશે.
આ સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે ૧૪૭ વિદ્યાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે પૈકીના ૭૮ વિદ્યાર્થીઓને માસ્ટર ઇન પબ્લિક હેલ્થ (MPH), ૪૪ વિદ્યાર્થીઓને માસ્ટર ઇન હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન (MHA) અને ૨૫ વિદ્યાર્થીઓને એસોસિયેટ ફેલો ઓફ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ(AFIH)ના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.IIPHGની MPH અને MHA વિદ્યાશાખાના ૯૩ ટકા વિદ્યાર્થીઓને મળ્યું પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્લેસમેન્ટ થયુ છે.
યુનિવર્સિટીના મોટાભાગના સ્નાતક વિદ્યાર્થીઓએ ભારતભરના વિવિધ જાહેર અને ખાનગી આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં પ્લેસમેન્ટ હાંસલ કર્યા છે. યુનિવર્સિટીના MPH અને MHAના ૯૩ ટકા વિદ્યાર્થીઓને NHSRC, ઇન્ડિયા હેલ્થ એક્શન ટ્રસ્ટ, યુ.એન.ડી.પી. અને એન.એચ.એમ જેવી રાજ્ય સરકારો સાથે સંકળાયેલી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અને હોસ્પિટલ ક્ષેત્રે PwC, કોગ્નિઝન્ટ, સેલબી, અપોલો, QCI અને HCG જેવી નામાંકિત હોસ્પિટલોમાં વિશિષ્ટ પદે નિયુક્તિ મળી છે.
IIPHG એ વિવિધ ક્ષેત્રોમાં જાહેર આરોગ્ય સંશોધનના પ્રયાસોમાં મોખરે છે. જેના પરિણામે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા IIPHGને કોલાબોરેટીંગ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકેની ઉપલબ્ધિ મળી છે. આ પ્રતિષ્ઠિત ઉપલબ્ધિ સાથે IIPHG સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં, IIPH-ગાંધીનગર ખાતે ૩૦થી વધુ વિવિધ પ્રકારના સંશોધન ચાલી રહ્યા છે.
આ પદવીદાન સમારોહના અતિથિ વિશેષ અને સ્ટેટ હેલ્થ સિસ્ટમના કન્ટ્રી લીડ ડો. દેવેન્દ્ર ખંડાયતે પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. IIPHGના નિયામક પ્રો. દીપક સક્સેનાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડિરેક્ટોરેટ ઑફ ઇન્ફર્મેશન સિસ્ટમના નિયામક રાજીવ રતન ચેતવાની, ICDSના નિયામક સહિતના વિવિધ મહાનુભાવો, પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
