ગાંધીનગર જિલ્લામાં બીજી મે ના રોજ કિસાન કલ્યાણ કાર્યશાળા-કૃષિ મહોત્સવ યોજાશે
Live TV
-
ગાંધીનગર જિલ્લાના બે હજાર અને મહેસાણાના ૭૦૦ ખેડૂતો ભાગ લેશે.
ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અને સજીવ ખેતી અંગે માર્ગદર્શન મળે તથા પાક ઉત્પાદન અને આવકમાં વૃધ્ધિ થાય તેમજ વિવિધ ખાતાની કૃષિલક્ષી સહાય યોજનાઓની જાણકારી મળે તે માટે આગામી તા.૨ મે, ૨૦૧૮ના રોજ અડાલજ ત્રિમંદિર ખાતે કિસાન કલ્યાણ કાર્યશાળા અને કૃષિ મહોત્સવ યોજનાર છે.
આ કાર્યક્રમના આયોજન અંગે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના બે હજાર તથા મહેસાણા જિલ્લાના ૭૦૦ જેટલા ખેડૂતો ભાગ લેનાર હોઇ તથા ગુજકોમાસોલ અને ઇફ્કો તથા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ કૃષિ મહોત્સવમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન, ખેડૂતોની આવક બમણી થાય તે માટે વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન, બાગાયત અને પશુપાલન તથા સફળ ખેડૂતોની સાફલ્ય વાર્તાઓ તથા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા અને તેનું નિરાકરણ તથા આધુનિક પ્રદર્શન સહિત પશુ આરોગ્ય કેમ્પ અંગે વિસ્તૃત આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી હિતેષભાઇ કોયા અને નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાએ કૃષિ મહોત્સવ આયોજન અંગે વિવિધ વિભાગોના અધિકારીઓને કાર્યક્રમના સફળ આયોજન અંગે વિવિધ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી, પશુપાલન, બાગાયત વિભાગના અધિકારીઓ તથા ગુજકોમાસોલ અને ઇફ્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
