ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી
Live TV
-
આજે પોષી પૂનમ છે, પોષી પૂનમ એટલે માઁ અંબાનો પ્રાગટ્યોત્સવ
આજે પોષી પૂનમ છે. પોષી પૂનમ એટલે માઁ અંબાનો પ્રાગટ્યોત્સવ...ત્યારે ગુજરાતની અલગ અલગ જગ્યાઓએ પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી. જોકે આ વર્ષે કોરોનાને કારણે પોષી પૂનમ પર મા અંબાના પ્રાગટ્યોત્સવની ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવી હતી. પરંપરા મુજબ મંદિર ચાચર ચોકમાં કોરોના ગાઈડલાઈન મુજબ મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરના યજમાન પદે આ યજ્ઞની શરૂઆત થઈ હતી. તો મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. જો કે દરવર્ષ કરતાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.
યાત્રાધામ ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરમાં સવારે શણગાર આરતી પછી માતાજીને ભવ્ય અન્નકુટ ધરાવાયો હતો. આરતી મંડળ દ્વારા 28 કિલોની કેક કાપવામાં આવી હતી. જ્યારે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળ બાદ આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભકતો મોટી સંખ્યામાં લાઈનમાં સોશિયલ ડીસ્ટન્સ અને સેનેટાઈઝરના ઉપયોગ કરી ઉપસ્થિત રહ્યા હતા.
પોષી પૂનમ નિમિત્તે નડિયાદમાં આવેલા શ્રી સંતરામ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. સોશિયલ ડિસ્ટંસ સાથે લોકોએ પોતાની બાધા પૂર્ણ કરી હતી. જે બાળકોને વાણી ઉચ્ચારણમાં તકલીફ પડે છે ત્યારે તેમના માતા-પિતા શ્રી સંતરામ મંદિરમાં બાધા રાખે છે. અને બાધા પૂર્ણ કરવા બોર ઉછાળવાની પ્રથા છે. ત્યારે સંતરામ મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે બોર ઉછાળવા આવનાર તમામ માટે કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા.
દ્વારકામાં આજે દર્શન કરવા માટે ભાવિકો ઉમટયા હતા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જો કે કોરોનાની સ્થિતિને ધ્યાનમા લઇને સામાજીક અંતર અને માસ્કના નિયમનું પાલન પણ કરાયુ હતુ. હાલ કોરોનાને કારણે સ્થિતિ ચિંતાજનક હતી. ત્યારે હવે લોકોમાં જાગૃતતા આવતા હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ત્યારે યાત્રાધામોમાં પણ હવે ભક્તો દર્શન કરીને પ્રાર્થના કરે છે કે ખુબ ઝડપથી દેશને કોરોનામાંથી મુક્તિ મળે.
