ગુજરાતમાં કોરોના પોઝીટીવનો એકપણ કેસ નહીં, હોસ્પિટલોમાં બનાવાયા આઇસોલેશન વોર્ડ
Live TV
-
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસના કુલ 31 જેટલા કેસ સમગ્ર દેશમાંથી મળી આવ્યા છે. જો કે ગુજરાતમાં હજુ સુધી કોઇ કેસ નોંધાયો નથી, ત્યારે સાવચેતીના ભાગરૂપે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે લડવા માટે ખાસ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં કુલ છ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી હતી, પણ તેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગાંધીનગર ખાતે કોરોના વાયરસ સંદર્ભમાં માહિતી આપતાં જણાવ્યું હતું, કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 38 લોકોની ચકાસણી કરવામાં આવી છે, જેમાંથી 37 કેસોમાં નેગેટીવ રિપોર્ટ આવ્યો છે, જ્યારે એકનું પરીણામ બાકી છે. આ ઉપરાંત રાજ્યના સુરત અને અમદાવાદ ખાતે આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, વિદેશથી આવેલા 16 હજાર કરતા વધારે મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયુ છે.
તો અમદાવાદમાં બે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે, જેમાં 570 બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ક્રીનિંગની વ્યવસ્થા માટે જામનગરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂરતી દવાઓ અને સાધનો પણ સરકારે તૈયાર રાખ્યા છે અને તેમણે રાજ્યના અન્ય જિલ્લાઓના કલેક્ટર સાથે વાત કરીને તમામ રીતે પહોંચી વળવા જણાવ્યુ છે.
