ગુજરાતમાં વિવિધ સ્થળોએ કરાઈ ગુરુપૂર્ણિમાની ઉજવણી
Live TV
-
ગુજરાતમાં આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે અનેક સ્થળોએ ઉજવણી કરવામાં આવી રહી છે. જે પૈકી ખેડા જિલ્લાનાં નડિયાદમાં આવેલા સંતરામ મંદિર તેમજ સ્વામિનારાયણ યાત્રાધામ વડતાલ ખાતે ગુરૂપુર્ણિમા પર્વની ધામધૂમપુર્વક ઉજવણી થઇ હતી. આ દિવસે ભગવાન વેદ વ્યાસનો જન્મદિવસ હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. સંતરામ ભક્તો સંતરામ મંદિર નડીયાદ આવીને ગુરુ દર્શનનો લાભ લેતા હોય છે. ગામડાઓમાંથી આવતા ભક્તો મંદિરે આવીને દૂધ અને અનાજ આપી જાય છે. ખેડા જિલ્લાનાં વડતાલ ધામ ખાતે પણ પૂજન અર્ચન થયું હતું. આણંદ રોકડીયા હનુમાનજી મંદિર અને બેઠક મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. ગીર સોમનાથનાં ઘાટવડ ખાતે ઇન્દ્રભારતી બાપુ દ્વારા ભારતી આશ્રમ ખાતે યોજાયેલ ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન કર્યું હતું. જેમાં ગુરૂની પૂજા અને વંદના કરવાની સાથે શિષ્યોએ આર્શીવાદ પણ મેળવીને ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ બ્રહ્મ સમાજના હાટકેશ્વર મંદિરમાં સાદગી પૂર્વક ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. અહીં દર વર્ષે થતા મોટાભાગના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. દીવનું હાટકેશ્વર મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર હોવાથી દીવના લોકોમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. ગુરુપૂર્ણિમા પર્વમાં સામાન્ય રીતે લોકો મોટી સંખ્યામાં અહીં દર્શને આવે છે પરંતુ આ વર્ષે મંદિરમાં મર્યાદિત સંખ્યામાં લોકોને સરકારના દિશા-નિર્દેશ અનુસાર સામેલ થવાની પરવાનગી આપવામાં આવી હતી.
