ગુજરાતી ભાષાના વાચકો માટે દેશ વિદેશમાં ઉભી કરી 350થી વધુ પુસ્તક પરબ
Live TV
-
સ્વ.પ્રતાપભાઈ પંડ્યાએ પોતાની શિક્ષકની નોકરી પછી ગુજરાત પુસ્તકાલય સાથે જોડાઈને ગુજરાતી ભાષાના વાચકો માટે પુસ્તક પરબ ચાલુ કરી હતી. આજે દેશ વિદેશમાં આશરે 350થી વધારે પુસ્તક પરબો તેમના પરિવાર અને મિત્રો દ્વારા હાલમાં કાર્યરત છે.
ગુજરાતનાં અમરેલીનાં જિલ્લાનાં અડતાલા ગામમાં જન્મેલા પ્રતાપભાઈ પંડ્યાએ પોતાની શિક્ષકની નોકરી પછી વડોદરામાં સ્થાયી થઈ ગુજરાત પુસ્તકાલય સાથે જોડાઈને એક અભિયાન શરુ કર્યું હતું. તેમને ગુજરાત સહિત વિદેશમાં પણ ગુજરાતી ભાષાનાં વાચકો માટે પુસ્તકોની પરબ ઊભી કરી વાચકોને વિના મૂલ્યે ગુજરાતી ભાષામાં લખાયેલ વિવિધ વિષયોના હજારો પુસ્તકો ભેટમાં આપ્યા છે. ગુજરાતી ભાષાનો સમૃદ્ધ સાહિત્યિક વારસો શિક્ષણવિદ સ્વ. પ્રતાપભાઈ પંડ્યાએ વાચકો સુધી પહોંચતો કર્યો છે. આજે દેશ વિદેશમાં થઈને કુલ 350થી વધુ પુસ્તક પરબ કાર્યરત છે, જેમા વડોદરમાં 11 પુસ્તક પરબ શરૂ કરેલી છે. તેમણે ઉપાડેલા પુસ્તક પરબ અભિયાનમાં આગળ જતા અનેક લોકો જોડાયા. તેમણે ગુજરાત પુસ્તકાલયની સંલગ્ન સંસ્થાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું અને એ ઉપરાંત અમરેલીમાં નવોદિત લેખકો, કવિઓ માટે અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારની સ્થાપના કરી અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે બે વર્ષથી માતૃભાષા સંવર્ધન પારિતોષિક આપવાની શરૂઆત કરી. તેમણે 12 જેટલા પુસ્તકો લખ્યા અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે વર્ષો સુધી કામ કર્યું. આજે તેમણે ઉપાડેલી ગુજરાતી ભાષાનાં સંવર્ધનની ઝુંબેશ તેમના મિત્રો તેમજ પરિવાર આગળ વધારી રહ્યા છે.
