ગુજરાત કેબિનેટઃ જમીન તકરારી અરજીની સુનાવણી સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થશે
Live TV
-
રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.. જે અંતર્ગત હવેથી જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે. આ અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.
પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું પ્રાથમિક જાહેરનામું પણ બહાર પાડયું છે.
આ જાહેરનામું ફાઈનલ થયા બાદ રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ કરાશે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે મહેસૂલ વિભાગમાં જમીન મહેસૂલને સ્પર્શતી બાબતોમાં વિવિધ કાયદાઓ હેઠળ વખતોવખત તેમાં સુધારા, નિયમો, ઠરાવો-પરિપત્રો બહાર પાડીને મહેસૂલી વહીવટી પ્રક્રિયાઓને સરળ, પારદર્શી અને ઝડપી બનાવી છે. ત્યારે આ પ્રજાલક્ષી નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.
