ગુજરાત યુનિવર્સિટીનો 71મો દીક્ષાંત સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે 51,279 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી
Live TV
-
ગુજરાત યુનિવર્સિટીનો 71 મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ આચાર્ય દેવવ્રતે 51,279 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. જેમાં 302 વિદ્યાર્થીઓને મેડલ, 67 વિદ્યાર્થીઓને સ્કોલર્શિપ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.પિયુષ પટેલ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ વિવિધ શાખાઓના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ જીવનભર સત્યનું આચરણ કરવું જોઈએ. 'ખોટા સિક્કા' થોડો સમય ચાલી જતા હશે, પણ જીવનનો અંતિમ સિદ્ધાંત સત્ય જ છે. ગુજરાત યુનિવર્સિટીના છાત્રો સત્યના માર્ગે ચાલીને આ યુનિવર્સિટી અને ગુરુજનોનું ગૌરવ અને સન્માન વધારશે. ગુજરાત યુનિવર્સિટીના સ્લોગન-'યોગઃ કર્મશુ કૌશલમ'ની વ્યાખ્યા કરતાં તેમણે જણાવ્યું કે, જીવનમાં મળેલા કર્મને અત્યંત કુશળતા, નીપુણતા, નિષ્ઠા અને પૂરા સમર્પણ ભાવથી કરો. જો કોઈ વ્યક્તિ આ પ્રકારે કામ કરે તો પછી પરિણામ આપવાની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે. કામ કરનાર વ્યક્તિ નિશ્ચિંત થઈ જાય છે. વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ; એમ કહીને તેમણે કહ્યું કે, જો ખેડૂત ખેતર છોડી દે અને વિદ્યાર્થી પુસ્તક છોડી દે તો વિદ્યા લુપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ જીવનભર શીખતો રહે તે સમાજ અને રાષ્ટ્ર માટે 'મૂડી' બની જાય છે.
