જામકંડોરણા - ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની અંતિમ યાત્રા
Live TV
-
વિઠ્ઠલભાઇ રાદડિયા નું લાંબી બીમારી બાદ ગઈકાલે અવસાન થયું હતુ, સહકારી ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર આખુ શોકમગ્ન બન્યુ
ખેડૂત નેતા અને ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું ગઈકાલે અવસાન થયું છે, તેઓ લાંબા સમયથી બિમાર હતા. પાટીદાર સમાજના નેતા વિઠ્ઠલભાઈના પુત્ર જયેશભાઈ રાદડિયા ગુજરાત રાજ્ય કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી છે. ખેતીસંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ સહિત અનેક સામાજિક કાર્ય સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય અને સાંસદ તરીકે કામગીરી કરી હતી. જામકંડોરણા કન્યા શાળા ખાતે આજે સવારથી બપોરના 12 વાગ્યા સુધી તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ બપોરે એક વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે અને સહકાર કેળવણી તેમજ રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશાં યાદ રહેશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને વિઠ્ઠલ રાદડીયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો
સૌરાષ્ટ્રના પ્રખ્યાત કિસાન નેતા અને પોરબંદરના ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા નું લાંબી બીમારી બાદ ગઈકાલે અવસાન થયું હતુ. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમના અવસાન અંગે ભાજપ, કોંગ્રેસ, ઉપરાંત સહકારી તેમજ જાહેર ક્ષેત્રના અગ્રણીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
આજે જામકંડોરણા ખાતે તેમની અંતિમ યાત્રા નીકળશે. જામ કંડોરણા ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા એ સ્થાપેલ કન્યા છાત્રાલયમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી છાત્રાઓએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે હવે અમારી ઉપર પિતાની છત્રછાયા રહી નથી.