જામનગરઃ કૂવામાં રોટલો પધરાવીને વરસાદનો વરતારો જાણતા આમરા ગામના લોકો
Live TV
-
જામનગર જિલ્લામાં આવેલા આમરા ગામે ઘણા વર્ષથી કૂવામાં રોટલો પધરાવવાની પરંપરા ચાલી આવી રહી છે. આ ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવીને વરસાદનો વરતારો મેળવે છે.
જામનગર જિલ્લામાં આવેલા આમરા ગામે ઘણા વર્ષથી કૂવામાં રોટલો પધરાવવાની પરંપરા ચાલી આવી રહી છે. આ ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવીને વરસાદનો વરતારો મેળવે છે. આ પરંપરા મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પહેલા સોમવારે ગામના કોઈ એક વ્યક્તિના ઘરે રોટલા બનાવવામાં આવે છે. રોટલા બન્યા બાદ ગામના લોકો ભેગા મળીને ગામમાં આવેલા મંદિરે જાય છે અને ત્યાં મંદિર પાસે આવેલા ભમ્મરિયા કૂવામાં આ રોટલો પધરાવવાની વિધી કરવામાં આવે છે. આમરા ગામના વડવાઓ આ રીતે રોટલાને કૂવામાં પધરાવીને વર્ષ કેવું રહેશે તેનો વરતારો કરતા હતા.
આ પરંપરા મુજબ ભમ્મરિયા કૂવામાં પધરાવામાં આવતો રોટલો ઉગમણી દિશા અટલે પૂર્વ દિશામાં રોટલો જાય તો આવનારુ વર્ષ સારુ જશે અને વરસાદ સારો પડશે. જો આથમણી દિશા એટલે કે પશ્ચિમ દિશામાં રોટલો જાય તો દુષ્કાળ પડશે તેવો વરતારો કરવામાં આવે છે.
આ વર્ષે પણ અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે. આ વર્ષે ભમ્મરીયા કૂવામા પધરાવવામાં આવેલ રોટલો પૂર્વ દિશામાં ગયો હોવાથી વરસાદ સારો થશે તેવો વરતારો કરવામાં આવ્યો છે.
