ડાંગમાં ખેતીની નવી ક્રાંતિ: યશવંતભાઈએ 'જંગલ ફાર્મ' મોડેલથી કેમિકલમુક્ત ખેતીનો રાહ ચીંધ્યો
Live TV
-
ડાંગમાં ખેતીની નવી ક્રાંતિ: યશવંતભાઈએ 'જંગલ ફાર્મ' મોડેલથી કેમિકલમુક્ત ખેતીનો રાહ ચીંધ્યો
ગુજરાતના અંતરિયાળ ગણાતા ડાંગ જિલ્લામાં ખેતીની તસવીર હવે બદલાઈ રહી છે. પરંપરાગત અને કેમિકલયુક્ત ખેતીના જોખમોને સમજીને ડાંગના ભાપખલ ગામના ખેડૂત યશવંતભાઈ બાગુલે એક નવો અને પ્રેરણાદાયી માર્ગ અપનાવ્યો છે. તેમણે રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપીને 'જંગલ ફાર્મ' મોડેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે.
ઝીરો બજેટ ખેતી: જીવામૃતનો જાદુ
યશવંતભાઈ હવે બજારના મોંઘા ખાતરો કે જંતુનાશકો પાછળ ખર્ચ કરતા નથી. તેઓ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર કરેલ જીવામૃતનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિથી ખેતીના ખર્ચમાં ધરખમ ઘટાડો થયો છે અને સામે પક્ષે ઉત્પાદન પણ મબલખ મળી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા
આત્મા પ્રોજેક્ટના નિયામક સંજય ભાગરીયાએ આ પદ્ધતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જમીન જીવંત બને છે અને તેની ફળદ્રુપતામાં વધારો થાય છે. મલ્ચિંગ પદ્ધતિને કારણે ભેજ જળવાઈ રહે છે, પરિણામે પાણીનો વપરાશ ઓછો થાય છે. ગ્રાહકોને ઝેરમુક્ત અને શુદ્ધ પોષણયુક્ત અનાજ અને શાકભાજી મળે છે.
રાજ્ય સરકારનું પ્રોત્સાહન
ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખેડૂતોની પીઠ થાબડી રહી છે. અઢી વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરનાર ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય પણ આપવામાં આવે છે. મિશ્ર પાક અને મલ્ચિંગ જેવી આધુનિક ટેકનિકથી ખેડૂતો હવે આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે.
