દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘમહેર, મુંબઈમાં પણ જનજીવન પ્રભાવિત
Live TV
-
રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 357 મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય 23 જિલ્લાઓના 121 તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ ,ઉત્તર ગુજરાત ઝોનના 6 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો નથી. આ જિલ્લાઓમાં ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 11 મીલીમીટર અને મહેસાણા તાલુકામાં 42 મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 38 મીલીમીટર અને માલપુરમાં 3 મીલીમીટર વરસાદ નોંધાયો છે, તો કચ્છ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં 50 મીલીમીટર, લીમડીમાં 26 મીલીમીટર અને લખતરમાં 5 મીલીમીટર વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ અને પડઘરીમાં ઝરમર વરસાદ વરસ્યો છે.તો ગીરસોમનાથના ઉના તાલુકામાં 8 મિલીમીટર, અમરેલીના લાઠીમાં 30, જાફરાબાદમાં 14, લીલીયામાં 6, ભાવનગરમાં 54, ગારીયાધારમાં 19, ઘોઘામાં 16, મહૂવામાં 36, શિહોરમાં 23 મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે.રાજ્યમાં સર્વત્ર વરસાદને કારણે લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.અને હજુ સારા વરસાદની સંભાવના છે.
તો મુંબઈમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે મુંબઈ અને પૂણે વચ્ચે રેલ સેવા ઠપ થઈ ગઈ છે.એક માલગાડી પાટા પરથી ઉતરી જતા અને રેલ માર્ગ પર પાણી ભરાઈ જવાને કારણે પાલઘર જિલ્લાથી મુંબઈ આવનારી અનેક રેલગાડીઓ રદ થઈ છે.
પૂણેમાં ઘાટ સેક્શન અંતર્ગત લોનાવાલાની નજીક જામબ્રંગ અને ઠાકુરવાડી વચ્ચે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી જેના લીધે મુંબઈથી પૂણે જતી અનેક ટ્રેન રદ કરવામાં આવી છે, પરંતુ પુણેથી મુંબઈની રેલ સેવા ચાલુ છે.આ બધા વચ્ચે મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ લોકલ રેલ સેવા ઉપર તેની કોઈ અસર પડી નથી અને તમામ લાઈનો પર ટ્રેન થોડી મોડી ચાલી રહી છે.
