દૂધસાગર ડેરીની ચૂંટણીમાં એકહથ્થું શાસનનો અંત, અશોક ચૌધરીની પેનલની જીત
Live TV
-
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં એકહથ્થું શાસનનો અંત આવ્યો હોય તેવા પરિણામ સામે આવ્યા છે. ડેરીની ચૂંટણીના પરિણામોમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. વિપુલ ચૌધરીના શાસનનો અંત આવ્યો હોય તેમ ખુદ તેઓ પોતાની પણ સીટ બચાવી શક્યા નથી, જ્યારે અશોક ચૌધરીની પરિવર્તન પેનલે 15 પૈકી 13 બેઠકો પર જીત મેળવી હતી.
આ સાથે જ તેઓનું ડેરીના ચેરમેન બનવું લગભગ નિશ્ચિત છે. વાર્ષિક રૂ. 5 હજાર 800 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણાની દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે મતદાન થયું હતું. પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ખેરાલુ બેઠક પર સરદાર ચૌધરી સામે 13 મતે હાર થઈ હતી,જ્યારે તેમની પેનલ ને માત્ર સમખાવા પૂરતી વિજાપુરની બે બેઠકો મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ થયેલા મતદાનમાં 1129 પૈકી 1119 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 99.11 ટકા મતદાન થયું હતું. જેલમાં બંધ વિપુલ ચૌધરી સહિત 10 ઉમેદવારો મતદાન કર્યું નહોતું. ડેરીમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરી હાલ જેલમાં છે.
પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર પણ હાજર નથી. એવામાં સુકાની વગર વિપુલભાઇના નામે સમર્થકો ચૂંટણી લડતા હતા. વિજેતા બન્યા બાદ ચેરમેન પદના દાવેદાર અશોક ચૌધરીએ કહ્યું કે, રાજ્યની અન્ય ડેરીઓની જેમ મહેસાણા ડેરીના પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળી રહે તેવા પ્રયાસોને પ્રાથમિકતા આપીશું.
