નર્મદા જિલ્લામાં ‘આપણો તાલુકો બાગાયત તાલુકો’ અંતર્ગત ખેડૂતો માટે શિબિર યોજાઈ
Live TV
-
નર્મદા જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી અને ગુજરાત રાજ્યના બાગાયત ખાતાના સંયુક્ત ઉપક્રમે રાજપીપળાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ‘આપણો તાલુકો બાગાયત તાલુકો’ અભિયાન અંતર્ગત ખેડૂતમિત્રો માટે તાલીમ, સેમિનાર અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારના પ્રારંભે નાયબ બાગાયત અધિકારી એન.વી.પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ કૃષિ અને સંલગ્ન વિભાગોની યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તેમજ એક જ મંચ પર વિવિધ વિભાગોની માહિતી, માર્ગદર્શન અને યોજનાઓની જાણકારી ઉપલબ્ધ થાય તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન જિલ્લાનાં મદદનીશ ખેતી નિયામકએ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા, બિયારણ, કૃષિ સહાય અને વિભાગ દ્વારા અમલમાં મુકાતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પશુપાલન વિભાગના અધિકારીએ પશુપાલન વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, પશુ આરોગ્ય, પશુપાલન વ્યવસાયના મહત્વ અને પશુપાલકો માટે ઉપલબ્ધ સરકારી લાભોની માહિતી આપી હતી.
ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર સંદીપ રાઠવાએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેના લાભો તથા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
પ્રગતિશીલ ખેડૂત પાર્થ ગુપ્તાએ પોતાની ખેતીની સફર, આધુનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાપ્ત કરેલી સફળતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે પ્રાકૃતિક કૃષિને સફળ બનાવવા માટે અપનાવવાની પદ્ધતિઓ અંગે માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
આ સેમિનાર દ્વારા ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ, આધુનિક કૃષિ પદ્ધતિઓ, બાગાયત વિકાસ અને પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી મુળજીદાદા, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિશાબેન, જિલ્લાના બાગાયત, ખેતીવાડી અને પશુપાલન વિભાગના અધિકારીઓ તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
