નર્મદા નદી ઉપર માલસર પાસે 225 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું 27 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ કરાશે
Live TV
-
વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે, જંગલની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે
વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ. 225 કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું આગામી તા. 27 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ થશે. આ બ્રિજ બનતા વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડ, મહારાષ્ટ્ર જવા માટે ૨૦ કિલોમિટરનું અંતર ઓછું થઇ ગયું છે. પૂલ બનવાથી બીજો મોટો લાભ એ થશે કે કપરા ચઢાણ, ડુંગરાળ વિસ્તારનો માર્ગ એક તરફ થઇ જશે. વડોદરા જિલ્લાને ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડવા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર 1312 કિ. મિ. લાંબી નર્મદા નદી પર ૫૬મો બ્રિજ બન્યો છે.
મધ્યપ્રદેશના અમરકંટકથી પ્રગટી ખંભાતની ખાડીમાં સાગરને મળતા મા નર્મદાના 1312 કિલોમિટરના લાંબા પ્રવાહના ઉપરથી વાહનો પસાર કરવા માટે અત્યાર સુધી કૂલ 55 બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમાં આ માલસર પાસે વડોદરા માર્ગ અને મકાન વિભાગ (ગ્રામ્ય) દ્વારા નિર્માણાધિન આ પૂલ 1312 કિલોમિટર લાંબી આ નદી ઉપર બાંધવામાં આવેલો 56મો બ્રિજ બન્યો છે. નર્મદા નદી ઉપર મહત્તમ પૂલ મધ્યપ્રદેશમાં છે.
બ્રિજ બનતા શિનોર તાલુકાને નર્મદા જિલ્લાના નાંદોદ તથા ભરૂચ જિલ્લાના ઝગડિયા જવા માટે વીસેક કિલોમિટરનું અંતર ઓછું થશે. વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે. તદ્દઉપરાંત, રાજપીપળા, ડેડિયાપાડાની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે. સમય અને ઇંધણમાં બચત થશે.
