નવસારીમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ સમગ્ર ગુજરાતમાં લાગુ થશે ‘ફર્ટિલાઈઝર સેલ એપ સિસ્ટમ’
Live TV
-
નવસારીમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ સમગ્ર ગુજરાતમાં લાગુ થશે ‘ફર્ટિલાઈઝર સેલ એપ સિસ્ટમ’
નવસારી જિલ્લાના ખેતરો સુધી પહોંચેલી અનોખી ડિજિટલ ક્રાંતિએ હવે આપણા જગતના તાતને ખાતર ખરીદવાની કડાકૂટમાંથી કાયમી મુક્તિ અપાવી દીધી છે. કેન્દ્ર સરકારની આધુનિક 'ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ' નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. આ નવીનતમ ટેકનોલોજીના કારણે જિલ્લામાં ખાતર વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે પારદર્શક અને લાઇનમુક્ત બની ગઈ છે. એટલું જ નહીં, પ્રશાસનની આ ડિજિટલ પહેલથી ખાતર કાળાબજારી અને વચેટિયાઓની મનમાની પર પણ કાયમી બ્રેક વાગી ગઈ છે.
એક ક્લિક પર એડવાન્સ બુકિંગ: ખેડૂતોને ધક્કા ખાવામાંથી મુક્તિ
નવસારીના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ગાંધી જેવા અનેક ખેડૂતો માટે હવે ખાતરની ખરીદી ચિંતાનો વિષય નથી રહી. આ નવી એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો હવે ઘરેબેઠા જ પોતાની જરૂરિયાત મુજબ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. આ ઓનલાઈન સુવિધાના લીધે ખેડૂતોને વિક્રેતાઓ કે સોસાયટીઓ પાસે ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે અને ખાતર ખરીદીની તમામ અડચણો માત્ર એક ક્લિક પર દૂર થઈ ગઈ છે.
QR કોડ આધારિત સરળ વિતરણ વ્યવસ્થા
ખેડૂતોને સમયસર અને પૂરતું સબસિડીવાળું ખાતર મળી રહે તે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અત્યંત સરળ અને આધુનિક બનાવવામાં આવી છે. ખેડૂતોએ માત્ર પોતાની ઓળખ (આધાર કાર્ડ/મોબાઈલ નંબર) અને જમીનની વિગતો આપવાની રહેશે. વિગતો સબમિટ થતાં જ ખેડૂતના મોબાઈલ પર એક યુનિક QR કોડ જનરેટ થાય છે. ખેડૂતોએ નજીકના ખાતર વિતરણ કેન્દ્ર પર જઈને માત્ર આ QR કોડ બતાવવાનો રહેશે અને તરત જ ખાતર મળી જશે.
આંગળીના ટેરવે મળતી આ સચોટ સુવિધાના કારણે ખેડૂતોનો કિંમતી સમય અને ભાડાના નાણાં બંને બચી રહ્યા છે.
