નવસારી: કૃષિ યુનિવર્સિટીમાં આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન હરીફાઈ યોજાઈ
Live TV
-
કાર્યક્રમમાં 200થી વધુ ખેડૂતોએ કુલ 79 જાતની વિવિધ પ્રકારની કેરી પ્રદર્શિત કરી
નવસારીની કૃષિ યુનિવર્સિટી સ્થિત અસ્પી બાગાયત મહાવિધાલયમાં આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે 200થી વધુ ખેડૂતોએ કુલ 79 જાતની વિવિધ પ્રકારની કેરી પ્રદર્શિત કરી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. ટી.આર.અહલાવતના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનમાં કેસર, રાજાપુરી, દશેરી, સોનપરી, આમ્રપાલી જેવી પ્રચલિત કેરીની જાતોને પ્રદર્શનમાં મુકાઈ હતી. જેમાં પ્રાકૃતિક ઢબે ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક કેરી પકવવા બદલ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. કેરી પ્રદર્શનની હરીફાઈમાં વિવિધ કેટગરીમાં કુલ 19 ખેડૂતોને સર્ટિફિકેટ સાથે રોકડ ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
આંબા પાક પરિસંવાદમાં નવસારી યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપની પસંદગી, રોગ નિવારણના પગલાઓની ટેક્નિકલ વિગતો આપી ખેડૂતોના પ્રશ્નોના સંવાદના માધ્યમથી ચર્ચા કરી હતી. કૃષિ યુનિ.ના સંશોધન વૈજ્ઞાનિક ડૉ.બી.એમ.ટંડેલે નવા બગીચાઓ બનાવવા માટે લેવામાં આવતી તકેદારીઓ વિશે જણાવ્યું હતું. કેરીના પાકની પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગણદેવીના ખખવાડા ગામના વિપિન નાયક, ચીખલીના રૂમલામાં બીપીન પટેલ, જલાલપોરના હાંસાપોર ગામના પરિમલ દેસાઈ, ખેરગામ તાલુકાના વાવ ગામના રેખા પટેલ અને વાંસદા તાલુકાના વાંસકુઈ ગામના અરવિંદ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. કિંજલ શાહ, અસ્પી બાગાયત મહા વિધાલયના આચાર્ય ડૉ.અલકા સીંઘ, ડૉ.વી.આર.નાયક તેમજ મોટી સંખ્યામાં આંબાની ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
