પશુપાલન મંત્રી: અબોલ પશુઓને સારવાર આપવા રાજ્યમાં 460 મોબાઈલ પશુ દવાખાના કાર્યરત
Live TV
-
રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના પશુપાલકો-પશુઓને સારવાર આપવા માટે સંવેદના દાખવી મોબાઈલ પશુ દવાખાના કાર્યરત કર્યા છે. રાજ્યમાં 460 મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે.
આજે વિધાનસભા ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત પશુ દવાખાનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં 20 પશુ દવાખાના કાર્યરત છે જેના દ્વારા છેલ્લા બે વર્ષમાં 74,656 પશુઓને સારવાર અપાઈ છે. 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના યોજના હેઠળ અબોલ પશુઓને ઘરબેઠા સારવાર આપવા માટે આ દવાખાના કાર્યરત કરાયા છે. આ યોજનાને વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે. સમગ્ર યોજના હેઠળ કાર્યરત દવાખાનાઓ GVK-EMRI દ્વારા GPS સિસ્ટમ દ્વારા અમલી કરાઈ છે. જેનું સીએમ ડેશ બોર્ડ દ્વારા રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે. આ દવાખાના દ્વારા રવિવાર સિવાય સવારે 7:00 થી સાંજના 7:00 સુધી વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે. જે હેઠળ 4,500 થી વધુ ગામો આવરી લેવાયા છે. આકસ્મિક સંજોગોમાં પશુઓને સારવાર મળી રહે એ માટે સરકારે 1962 ટોલ ફ્રી નંબર કાર્યરત કરેલ છે જેના દ્વારા પણ પશુઓને સારવાર આપવામાં આવે છે. રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેવાયા છે જેમાં આદિજાતિ-પછાત વિસ્તારમાં વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર અબોલ પશુઓ માટે સંવેદના દાખવી પશુચિકિત્સા સેવાઓ સુદ્રઢ આયોજનથી પુરી પાડી રહી છે. કરુણા એમ્બ્યુલન્સના માધ્યમ થકી ઇજાગ્રસ્ત કે બીમાર પક્ષીઓને સારવાર પૂરી પાડી તેમના જીવ બચાવવામાં આવે છે.
પશુપાલન મંત્રીએ પશુ દવાખાનાના મંજૂર મહેકમ સંદર્ભે માહિતી આપતા કહ્યું કે, જૂનાગઢ જિલ્લામાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની 27, ડ્રેસર વર્ગ-4ની 06 અને પટાવાળા/એટેન્ડન્ટ વર્ગ-4ની 20 જગ્યાઓ છે જ્યારે, રાજકોટ જિલ્લામાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની 28, ડ્રેસર વર્ગ-4ની 11 અને પટાવાળા/એટેન્ડન્ટ વર્ગ-4ની 15 જગ્યાઓ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની 170 જેટલી જગ્યાઓ સત્વરે ભરી રાજ્યની પશુ ચિકિત્સા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવાશે તેમ પશુપાલન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.