પુલવામામાં C.R.P.F.ના કાફલાં પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાજ્યના શહેરોમાં દેખાવો અને કેન્ડલ માર્ચ યોજાઈ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં C.R.P.F.ના કાફલાં પર પરમ દિવસે થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાજ્યના શહેરોમાં દેખાવો અને કેન્ડલ માર્ચ યોજાઈ
વડોદરા ખાતે મોડી રાત્રે એરપોર્ટ ખાતે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને શ્રદ્ધાંજલિ આપી શોક પ્રગટ કર્યો હતો તેમની સાથે વડોદરાના સાંસદ રંજન બેન ભટ્ટ ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વડોદરા કલેકટર શાલિની અગ્રવાલ સહિત પોલીસ કમિશનર C.I.S.F.ના જ્વાનોએ ઉપસ્થિત રહી પુલાવામામાં શહિદ થયેલા સૈનિકો માટે કેન્ડલ પ્રગટાવી શોકની લાગણી વ્યકત કરી હતી. જ્યારે અહીના એક મુસ્લિમ વિસ્તારમાં રહેતા દેશ પ્રેમી ભારતીયનું પણ આ ઘટનાથી લોહી ઉકળી ઉઠ્યુ હતુ અને તેમણે પણ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે સમગ્ર મુસ્લિમ સમાજ ભારત સાથે ઉભો છે.
કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાને લઈને સુરેન્દ્રનગરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જોરાવ નગર વઢવાણ અને રતનપર જોડીયા શહેર વહેલી સવારથી જ બંધ જોવા મળ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેરના વેપારી એસોશિયન સહિત તમામ એસોશિયન બંધમાં જોડાયા હતા. શહેરના જવાહરચોક ખાતે આતંકવાદી વિરુદ્ધ સુત્રોચાર કરી તાત્કાલિક જવાબી કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ સાંજે સમગ્ર સુરેન્દ્રનગર શહેરીજનો દ્વારા મોટી સંખ્યામાં કેન્ડલ માચૅયોજી કલેક્ટરને આવેદન પત્ર આપી આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ સાથે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર થાનગઢ ધ્રાંગધ્રા લિંબડી સહિતના તાલુકાઓએ પણ બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો.
પુલવામાંમા થયેલા આતંકવાદી હુમલા અન્વયે તાપી જિલ્લાના બુહારીમાં સ્થાનિકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બુહારીના મેઈન બજાર નજીક નગરજનો ભેગા થયા હતા અને પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. લોકોએ નારાઓ સાથે કેન્ડલ માર્ચ યોજી હતી અને સાથે ભારત માતા કી જયના જયઘોષ સાથે શહીદ જવાનોને ફૂલહાર ચઢાવી અંજલિ આપવામાં આવી હતી.
પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મહેસાણાની સાકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાકળચંદ પટેલ યુનિવર્સિટી તરફથી રૂપિયા એક લાખવિસનગર મજૂર સહકારી મંડળી તરફ થી રૂપિયા એક લાખ તથા અન્ય સેવા ભાવી સંસ્થાઓ તથા દાતાઓ દ્વારા રૂપિયા 10 લાખ એકઠા કરવામાં આવ્યા છે. આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં શહીદોના પરિવારો માટે મોકલવામાં આવશે.
જમ્મુ - કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાની દેશ ભરમાં નિંદા થઈ રહી છે ત્યારે દ્વારકામાં હોમગાર્ડ ચોકથી જગત મંદિરની જાળી સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં લોકો જોડાયા હતા. આ તકે જગત મંદિરના જાળી વારા ગેટ પાસે રેલી પૂર્ણ થયા બાદ શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પી મૌન પાળવામાં આવ્યું હતું. આ તકે દ્વારકાવાસીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પાકિસ્તાન વિરોધી નારા લગાવી પાકિસ્તાન પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.
પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા તથા તેમના પરિવારજનોને સાંત્વના આપવાના હેતુથી નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. શ્રી સંતરામ મંદિર નડિયાદના પરમ પૂજ્ય રામદાસજી મહારાજે અવધૂત યોગી રાજ શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોત સમક્ષ શહીદ જવાનો તથા પરિવારો માટે પ્રાર્થના કરી હતી. સવાર થી શાંતિ શુક્લ ચતુર્વેદનો પાઠ કરવામાં આવ્યો હતો. જ્યારે સાંજે ખેડા જિલ્લાની જનતાએ મંદિરમાં વિશેષ આયોજન કરાયું હતું. પૂજ્ય રામદાસજી મહારાજના શ્રીમુખે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવામાં આવ્યા હતા.
મોરબીમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા રેલીનું આયોજન થયું હતું. મોરબીના ટંકારા સ્થિત મોટા ખીજડિયા ગામે એક નિવૃત્ત આર્મી મેનના દીકરાના લગ્નમાં પણ મૌન પાળવામાં આવ્યું હતું. મોરબીમાં મોરબી શિરામીક એસોસિએશનના સોશિયલ મીડિયા ગ્રૂપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગ રૂપે અંદાજે રૂપિયા 75 લાખનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. વિવિધ સેવાભાવી સંસ્થાઓ શાળાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન થયું હતું. યુવા મોરચા દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડથી ગાંધી ચોક સુધી મૌન રેલીનું આયોજન કરાયું હતું. મોબાઈલ ફોનની ફલેશ લાઈટ ઓન કરીને મૌન રેલીનું આયોજન થયું હતું
કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જવાનો શહીદ થતાં દેશના નાગરિકોનું હૃદય હચ-મચી ઉઠ્યું છે. બીજી તરફ લોકોને પાકિસ્તાન પ્રત્યે ગુસ્સો પણ છે ત્યારે હિંમતનગરના હાપા ગામમાં આર્મીમાંથી નિવૃત્ત થયેલા 32 જવાનો એ બોર્ડર પર જવાની તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે હાપા ગામમાં હાલ 30 થી વધુ જવાનો અત્યારે સરહદ પર તૈનાત છે.
પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ધરણીધર દેરાસર પાસેથી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. તેમાં મોટી સંખ્યામા નાગરિકો જોડાયા હતા. લોકો એ સૈનિકો અમર રહોના નારાથી વાતાવરણ ગજાવી મૂક્યું હતું.
હાલ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવા અમદાવાદમાં કેન્ડલ માર્ચ યોજાઇ હતી. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલ આ કેન્ડલ માર્ચ દરમ્યાન શહેરી જનો મોટી સંખ્યામાં સફેદ વસ્ત્ર પહેરીને હાથમાં કેન્ડલ લઇને જોડાયા હતા અને જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
