પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રી મહેસાણામાં રુપિયા 3900 કરોડથી વધુના પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત મોઢેરા ગામને 24 કલાક સૂર્યઊર્જાથી ચાલતું ભારતનું પ્રથમ ગામ જાહેર કરશે ત્યારબાદ મોઢેશ્વરી માતાના દર્શન કરી સૂર્યમંદિરે જશે.
મોઢેરા ગામ 24 કલાક સૌર ઊર્જાથી ચાલે છે. મોઢેરાના સૂર્યમંદિર નગરના સૌરીકરણના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરે છે. જેમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ અને રહેણાંક તેમજ સરકારી ઈમારતો પર 1300થી વધુ રુફટોપ સોલાર સિસ્ટમ વિકસાવવામાં આવેલ છે, જે તમામ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સંકલિત છે. આ પ્રોજેકટ કેવી રીતે ભારતની પુન:પ્રાપ્ય ઊર્જા શક્તિ પાયાના સ્તરે લોકોને સશક્ત કરી શકે એ દર્શાવે છે.
પ્રધાનમંત્રી બહુવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેમાં પાટણથી ગોઝારિયા સુધી NH-68ના એક સેક્શનને ફોર લેનિંગ, મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ચાલાસણ ગામમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, દૂધસાગર ડેરી ખાતે નવો ઓટોમેટેડ મિલ્ક પાવડર પ્લાન્ટ અને UHT મિલ્ક કાર્ટન પ્લાન્ટ, મહેસાણા જનરલ હોસ્પિટલનો પુનઃવિકાસ અને પુનઃનિર્માણ તથા મહેસાણા અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS)નો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૂર્યમંદિરની પણ મુલાકાત લેશે જયાં તેઓ સુંદર પ્રોજેક્શન મેપિંગ શોના સાક્ષી બનશે.
