પ્રધાનમંત્રી મોદીને મળેલી ભેટોની ઓનલાઈન હરાજી, નમામી ગંગે માટે રકમ ફાળવવામાં આવશે
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ દ્વારા કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોથી, મને વિવિધ કાર્યક્રમો દરમિયાન મળેલા ભેટોની ઓનલાઈન હરાજી ચાલી રહી છે.
આ હરાજીમાં ભારતની સંસ્કૃતિ અને કલાને દર્શાવતી રસપ્રદ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ હરાજીમાંથી મળનારી રકમ નમામિ ગંગે માટે જશે. હું સૌને આ હરાજીમાં ભાગ લેવા વિનંતી કરું છું."
હરાજીની મુખ્ય વિગતો
પ્રધાનમંત્રીને મળેલી ભેટોની ઈ-હરાજી 17 સપ્ટેમ્બર (પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ)ના રોજ સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી અને 2 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી મેમેન્ટોઝની વેબસાઇટ અનુસાર, હરાજીમાં ચાંદીનું રામ મંદિરનું મોડેલ, વાછરડા સાથેની કામધેનુ, લાકડાનો ચરખો, વાંસની હોડીનું મોડેલ, ઇલોરાના કૈલાસા મંદિરની પેઈન્ટિંગ,G-20 થી સંબંધિત પોસ્ટર અને બિહારમાંથી મળેલ ભગવાન બુદ્ધની પ્રતિમા જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.
કેવી રીતે ભાગ લેવો?
જે કોઈ પણ આ હરાજીમાં ભાગ લેવા ઈચ્છે છે, તેઓ pmmementos.gov.in વેબસાઇટ પર જઈને પોતાનું ખાતું બનાવી શકે છે અને પોતાની પસંદગીની વસ્તુઓ માટે બોલી લગાવી શકે છે. આ પોર્ટલ ભારત સરકાર દ્વારા સંચાલિત છે, જે ખરીદદારોને નોંધણી કરાવ્યા બાદ ઓનલાઈન હરાજીમાં ભાગ લેવાની સુવિધા આપે છે.
નમામિ ગંગે કાર્યક્રમ
નમામિ ગંગે એ કેન્દ્ર સરકારનો એક સંકલિત સંરક્ષણ મિશન છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય નદી ગંગાના પ્રદૂષણને અટકાવવા, તેના સંરક્ષણ અને પુનરુત્થાન માટે કામ કરવાનો છે. જૂન 2014માં શરૂ થયેલ આ કાર્યક્રમ માટે રૂ. 20,000 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ મિશન ત્રણ તબક્કામાં વહેંચાયેલું છે: તાત્કાલિક અસર દેખાય તેવી પ્રારંભિક પ્રવૃત્તિઓ, 5 વર્ષમાં પૂરી થનારી મધ્યમ-ગાળાની પ્રવૃત્તિઓ અને 10 વર્ષના લાંબા ગાળાની પ્રવૃત્તિઓ.
