બર્ડફ્લૂના કેસના સંદર્ભમાં કરૂણા અભિયાન-2021ને લઈને રાજ્ય સરકારે કરી SOP
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં રાજ્યના જૂનાગઢ, વડોદરા, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં નોંધાયેલા બર્ડફલુના કેસોના સંદર્ભમાં આ વર્ષના કરૂણા અભિયાન-2021 અંતર્ગત પક્ષી બચાવ અને સારવાર કામગીરીમાં વિશેષ કાળજી-તકેદારી રાખવાની સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ પક્ષીઓમાં ઝડપથી ફેલાતા આ બર્ડફલુ રોગ અને રોગ્રસ્ત પક્ષીના સંપર્કમાં આવતા વ્યકિત-માનવીઓને પણ આ રોગનો ચેપ લાગી શકે છે તેની સંભાવનાઓ ધ્યાને લઇ આવા પક્ષીઓની કરૂણા અભિયાન દરમ્યાન બચાવ-સારવાર કામગીરીમાં જોડાનારા કર્મચારી-અધિકારીઓ તેમજ NGOના સ્વયંસેવકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર SOP જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે વનવિભાગ અને પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને માર્ગદર્શિકા અનુસરવા અંગેની સૂચનાઓ આપી હતી. તો પક્ષી બચાવ અને સારવાર દરમિયાન વન વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓએ ડીસ્પોઝેબલ પી.પી.ઇ સુટ અને હાથના મોજા ફરજિયાત પહેરવાની સૂચનાઓ ગાઇડલાઇનમાં આપવામાં આવી છે. આ સાથે જ અભિયાન દરમિયાન જો કોઇ મૃત પક્ષી મળી આવે તો તેને ઝીપલોક ધરાવતી પ્લાસ્ટીકની બેગમાં પેક કરી નજીકના પશુપાલન વિભાગના સારવાર કેન્દ્રમાં અલગથી સુપ્રત કરવાનો પણ ગાઇડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
