બિટકોઇન મામલે માસ્ટર માઇન્ડ કીરિટ પાલડિયાના 6 દિવસના રિમાન્ડ
Live TV
-
રાજ્યમાં ચર્ચા જગાવનારા બિટકોઈન પ્રકરણમાં માસ્ટર માઇન્ડ કીરિટ પાલડિયાની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે
રાજ્યમાં ચર્ચા જગાવનારા બિટકોઈન પ્રકરણમાં માસ્ટર માઇન્ડ કીરિટ પાલડિયાની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને સેશન્સ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઇડી ક્રાઇમના જીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પત્રકાર પરિષદ દરમ્યાન જણાવ્યું હતું કે બિટકોઈન કેસમાં માસ્ટરમાઇન્ડ તરીકે કિરીટ પાલડિયા કામ કરતો હતો. બિટકોઈનની સમગ્ર ઘટના એવી હતી કે કિરીટ પાલડિયા અને આક્ષેપ કરનાર બિલ્ડર શૈલેષ ભટ્ટ ભાગીદારમાં કામ કરતા હતા. બંનેનું મુખ્ય કામ બિટકોઈન ટ્રાન્ઝેક્શન અને જમીનનું હતું. કિરીટ પાલડિયા ટેક્નિકલ બાબતોમાં નિષ્ણાત હતો તેથી જ તેણે શૈલેષ ભટ્ટ સાથે ભાગીદારી કરી હતી. શૈલેષ ભટ્ટના 11 હજાર લાઇટ કોઇન્સ કિરીટ પાલડિયાના વોલેટમાં હતા. કિરીટ પાલડિયાએ આ લાઇટ કોઈન્સને 166 બિટકોઈનમાં કન્વર્ટ કર્યા હતા. થોડા સમય બાદ બીજા 10 બિટકોઈન કિરીટ પાલડિયાના વોલેટમાં આવ્યા હતા. આથી કુલ 176 બિટકોઈન કિરીટ પાલડિયાના વોલેટમાં જ હતા, જે શૈલેષ ભટ્ટની માલિકીના હતા. આ બિટકોઈનનું કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે તારણ પર પહોંચ્યા પહેલા તેમણે સતત ત્રણ દિવસ સુધી કિરીટ પાલડિયાની પૂછપરછ કરી હતી. ત્રણ દિવસની પૂછપરછ બાદ આખું પ્રકરણ સ્પષ્ટ થયું હતું. ક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે કિરીટ પાલડિયાએ એવો પ્લાન બનાવ્યો હતો કે શૈલેષ ભટ્ટના 176 બિટકોઈન્સ તેની પાસે જ રાખી લેવા. આ માટે શૈલેષ ભટ્ટને એવું કહ્યું હતું કે તેણે તમામ બિટકોઈન્સ પોલીસને આપી દીધા છે. કિરીટ પાલડિયાએ જ્યારે આ પ્લાન ઘડ્યો હતો ત્યારે એક બિટકોઈનની કિંમત રૂપિયા 37 લાખ હતી. કિરીટ પાલડિયાના પ્લાન પ્રમાણે 15 ટકા રકમ પોલીસને આપવાનું નક્કી થયું હતું. જ્યારે 15 ટકા રકમ સહઆરોપીઓને આપવાની હતી. બાકીની 70 ટકા રકમ કિરીટ પાલડિયા પોતાની પાસે રાખવાનો હતો. બિટકોઈન મામલે અપહરણ ગાંધીનગરમાં થયું હતું, જ્યારે આ તમામ ટ્રાન્ઝેક્શન સુરતમાં થયા હતા, ત્યારે અમરેલી પોલીસ આ આખા પ્રકરણમાં ચિત્રમાં કેવી રીતે આવી? આ અંગે ખુલાસો કરતા ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે, અમરેલી પોલીસે પોતાને એક અરજી મળ્યાનો દાવો કરીને તપાસનું નાટક કર્યું હતું. સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ માલુમ પડ્યું હતું કે આવી કોઈ અરજી પોલીસને મળી ન હતી. કેતન પટેલ થકી આ ચિત્રમાં અમરેલી પોલીસ આવી હતી. નોંધનીય છે કે આ કેસમાં નલિન કોટડિયાને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેમના રહેઠાણે કોઈ ન હોવાથી સમન્સની બજવણી ન થતા નવું સમન્સ પાઠવવામાં આવ્યું છે અને કિરીટ પાલડિયાને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. એક મહત્વના મુદ્દા તરીકે સીઆઇડીએ જણાવ્યુંહતું કે કીરિટ પાલડિયાએ નેક્સા કોઇન્સ કરન્સી નામે પોંઝી સ્કીમ લોન્ચ કરી હતી. જેમાં કોઈપણ વ્યક્તિએ રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ ફરિયાદ કરી શકે છે.
