ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આજે યોજાઈ જળયાત્રા
Live TV
-
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા, આજે 4 જૂનના રોજ જળયાત્રા યોજાઈ રહી છે. જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે શરૂ થઈ છે. ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે જળયાત્રા યોજાઈ છે. 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા છે. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા, મંદિરે પરત પહોંચી હતી.
ભગવાનની જળાભિષેકની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા સહિત અનેક રાજકીય અગ્રણીઓ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો છે. સાથે જ, મેયર સહિત સંતોના હસ્તે પૂજાવિધિ કરવામાં આવી હતી. આજે ભગવાન જગન્નાથના જળા અભિષેકની પૂજા-વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.
ભગવાનની જળયાત્રા અને જળાભિષેકની વિધિ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સરસપુર ખાતે આવેલા મામાના મોસાળમાં જશે. આજે સરસપુર મંદિર ખાતે જ્યારે ભગવાન મોસાળમાં પધારશે ત્યારે તેઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે. ભગવાન 15 દિવસ એટલે કે, અમાસ સુધી સરસપુર મામાના ઘેર મોસાળમાં રોકાશે.