ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાનો કેસ ઉકેલાયો
Live TV
-
સીઆઈડી ક્રાઈમે જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી જવાબદાર હોવાનો કર્યો દાવો,
ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી જવાબદાર હોવાનો દાવો સીઆઈડી ક્રાઈમે કર્યો છે. આ હત્યા કેસમાં 2 આરોપી નીતિન પટેલ અને રાહુલ પટેલની અટકાયત કરાઈ છે. સીઆઈડી ક્રાઈમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કચ્છ સ્થિત છબીલ પટેલના ફાર્મ હાઉસમાં 25 ડિસેમ્બરે 2 શાર્પશૂટર આવ્યા હતા અને ત્યાં જ મર્ડરનું કાવતરું ઘડાયું હતું. CID ક્રાઈમના એડીજીપી અજય તોમરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છબીલ પટેલ 25 ડિસેમ્બરે હત્યારાઓને લઈને કચ્છના ફાર્મહાઉસ પહોંચ્યા હતા. અને ફાર્મ હાઉસમાં જ હત્યાનું ષડયંત્ર ઘડાયું હતું.2 જાન્યુઆરીએ છબીલ પટેલ મસ્કત જવા રવાના થયા હતા અને મનીષા ગોસ્વામી કચ્છમાં જ રોકાઈ હતી.અજય તોમરે વધુમાં જણાવ્યું હતું કે હાલ બંને આરોપીઓની ગુજરાત અને રાજ્ય બહાર શોધખોળ ચાલુ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છબીલ પટેલને પકડવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે.મહત્વનું છે કે 8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ H-1 કોચમાં જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરાઈ હતી.17 દિવસ બાદ પોલીસે સત્તાવાર રીતે બે આરોપીઓની ધરપકડ કરી છે. તો ભાનુશાળી હત્યા કેસ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેસની તપાસ પોલીસ કરી રહી છે. સમગ્ર કેસની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થશે. અને હત્યામાં સંડોવાયેલા આરોપીઓને બક્ષવામાં નહીં આવે તેમ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું.
