રાજકોટમાં નંબર પ્લેટ વગરનાં વાહનોને ઈંધણ નહીં મળે
Live TV
-
રાજકોટ શહેરમાં માન્ય રજિસ્ટ્રેશન નંબર પ્લેટ વગરનાં વાહનોને પેટ્રોલ, ડીઝલ કે CNG આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ, આગળ અને પાછળ બંને બાજુ સ્પષ્ટ અને કાયદેસર માન્ય HSRP નંબર પ્લેટ ન હોય તેવા દ્વિચક્રી, ત્રિચક્રી તથા ચારચક્રી વાહનોને ઈંધણ આપવામાં આવશે નહીં. નંબર પ્લેટ કાઢી નાખેલી, વાળેલી, તૂટેલી, ઢાંકેલી, અસ્પષ્ટ અથવા તેમાં ફેરફાર કરેલો હોય તેવા વાહનો પર પણ આ નિયમ લાગુ પડશે.
માન્ય કામચલાઉ રજિસ્ટ્રેશન ધરાવતા નવા વાહનો, ટ્રેડ સર્ટિફિકેટ ધરાવતા વાહનો તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સહિતનાં કટોકટી સેવા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.તમામ ઈંધણ સ્ટેશનો પર ગુજરાતી તથા હિન્દી/અંગ્રેજીમાં ‘નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં’ના સૂચના બોર્ડ લગાવવાના રહેશે. પેટ્રોલ પંપ અને CNG સ્ટેશનો પર વાહનની નંબર પ્લેટ તથા ચાલકનો ચહેરો સ્પષ્ટ દેખાય તે રીતે CCTV વ્યવસ્થા રાખી ફૂટેજ 30 દિવસ સુધી સાચવવાનું રહેશે.નંબર પ્લેટના અભાવે ઈંધણ ન આપતાં રકઝક, ધાકધમકી કે અવ્યવસ્થા ઊભી કરનાર સામે પોલીસ કાર્યવાહી થશે. જરૂર પડે તો 1120 નંબર પર જાણ કરવાની રહેશે. આ જાહેરનામું 16 ઓક્ટોબર, 2026 સુધી અમલમાં રહેશે.
