રાજયમાં પહેલી મે થી ૩૧ મે સુધી જળ સંચય અભિયાન યોજાશે
Live TV
-
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિમંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સ્થાને યોજના અંગે યોજાઇ બેઠક.
રાજય સરકાર દ્વારા ૧લી મે થી ૩૧ મે સુધી જળ સંચય અભિયાન યોજવામાં આવી રહયું છે. આ અભિયાન દરમ્યાન જળાશયો ઉંડા કરવા, તેમાંથી કાપ બહાર કાઢવામાં આવશે તથા પાણીના સ્ટોરેજ વધારવાની, કેનાલો સફાઇની કામગીરી વગેરે કામગીરી કરવામાં આવશે. જેના આયોજન માટે આજે કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકાના સભાખંડમાં રાજયના કૃષિ મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ તથા સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ હતી.
મંત્રી ફળદુએ જે તળાવો ઉંડા કરવાના છે તેની હૈયાતીની સ્થિતિ, કેટલો કાંપ નિકળશે, કેટલી મશીનરીની જરૂરીયાત, કેટલો મેનપાવર વગેરે નકકી કરવા માઇક્રો પ્લાનીંગ કરવા જણાવ્યું હતું. તેમજ તેમણે કહયું કે સરકારે જી.આર. કર્યો છે કે એક માસ આ અભિયાન દરમ્યાન કોઇપણ ખેડુત તળાવમાંથી કાપ લઇ જઇ શકશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ કામમાં વધુ લોકો જોડાઇ શકે તે માટે ગામોમાં મીટીંગો કરવી, અધિકારીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓએ સંકલનમાં રહી કામગીરી કરવી તેમજ કામની વહેંચણી કરી લક્ષ્યાંક પુર્ણ કરવા જણાવ્યું હતું. કામ શરુ કર્યા પહેલા અને પુર્ણ થયા પછીના ફોટોગ્રાફસ કરાવવા જણાવ્યું હતું. દરેક વિભાગના ટેકનીકલ સ્ટાફને આ અભિયાનમાં મદદરૂપ થવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, કલેકટર જે.આર. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી રાવલ, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર વ્યાસ, ડીએફઓ ધનપાલ, પ્રાંત અધિકારી જોશી, નાયબ કલેકટર માંડોત, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.
