રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
Live TV
-
રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 7 તાલુકાઓ એવા છે ,કે જ્યાં આઠ ઈંચથી સાડા તેર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 102. 73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 188.02 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ,134.81 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં, 90.21 ટકા, ઉત્તર ગુજરાતમાં, 87.44 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ,78.98 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યના સરદાર સરોવર સહિત ,206 જળાશયો ભરાયા છે. જેમાં રાજ્યના 76 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. સીઝનના અત્યાર સુધી મધ્યગુજરાતમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સીઝનનો 93 ટકા વરસાદ થયો છે.તો જિલ્લાનો સરેરાશ વરસાદ 81 ટકા નોંધાયો છે.ખેડા જિલ્લામાં પણ સીઝનનો સરેરાશ વરસાદ 88 ટકા નોંધાયો છે.આણંદમાં 109 ટકા, વડોદરામાં 73 ટકા, છોટાઉદેપુરમાં 81 ટકા, પંચમહાલમાં 78 ટકા, મહિસાગરમાં 67 ટકા, દાહોદમાં 61 ટકા વરસાદ થયો છે
રા્જ્યમાં અત્યાર ુસુધી સૌરાષ્ટ્માં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જિલ્લામાં 125 ટકા વરસાદ વરસ્યો છે.તો રાજકોટમાં 141 ટકા, મોરબીમાં 166 ટકા, જામનગરમાં 175 ટકા, દ્વારકામાં 281 ટકા, પોરબંદરમાં 189 ટકા, જૂનાગઢમાં 135 ટકા, ગીર સોમનાથમાં 124 ટકા, અમરેલીમાં 135 અને ભાવનગરમાં સીઝનનો 90 ટકા વરસાદ વરસ્યો છે.સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો ઉભો પાક ધોવાયો છે. તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોનાં મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકો અને જમીનનું ધોવાણ થયું છે. તો કોડીનારમાં 10 કાચા મકાન ધરાશાયી થયા છે. જૂનાગઢ પંથકમાં માંગરોળમાં ઘેડના ગામોમાં જળબંબાકાર થતાં રોડ પણ ત્રણથી પાંચ ફૂટ પાણી ભરાયા છે. જેથી આસપાસના ગામોનો સંપર્ક તુટી ગયો છે. તો રાજકોટ શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સાંજના સમયે નીચાણવાળા વિસ્તારોના રેસ્ક્યુ કરેલા લોકોને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂબરૂ મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં પડી રહેલા વરસાદને પગલે એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મોરબી શહેરમાં 13 ઇંચથી વધુ વરસાદ વરસતાં માળીયા-મીયાણા તાલુકામાં મચ્છુ નદી અને વરસાદના પાણીએ તબાહી સર્જી છે. ચિખલી ગામે 22 લોકો ફસાતા એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે. તો જિલ્લાના 29 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જામનગરમાં દરેડ પાસે ખોડિયાર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયુ છે.
