રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાના ઉભડા ગામે ગ્રામજનો સાથે સાધ્યો આત્મીય લોકસંવાદ
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભડા ગામની મુલાકાત લઈ પે સેન્ટર ઉત્તમ શાળા ખાતે ગ્રામજનો સાથે રાત્રિ સભામાં આત્મીય લોકસંવાદ સાધ્યો હતો. રાજ્યપાલના આગમનથી ગ્રામજનોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગામડાંની શુદ્ધ હવા, પરસ્પરનો પ્રેમ અને સામાજિક સમરસતા ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. તેઓ પોતે ખેડૂતપુત્ર હોવાનું અને ગુરુકુળમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું હોવાનું જણાવી ગ્રામજનો વચ્ચે રહેવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.તેમણે બાળકોમાં સારા સંસ્કારો કેળવવા, માતા-પિતાએ બાળકો સાથે ગુણવત્તાસભર સમય વિતાવવા અને યુવાનોને વ્યસનથી દૂર રાખવા અપીલ કરી હતી. જીવનમાં ભૌતિક સંપત્તિ કરતાં સત્કર્મ, સેવા અને માનવતાને સાચી મૂડી ગણાવી હતી.
રાજ્યપાલએ પશુપાલનને ખેતીનો પૂરક વ્યવસાય ગણાવી પશુઓમાં નસલ સુધારણા દ્વારા દૂધ ઉત્પાદન અને આવક વધારવા તેમજ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય જાળવવા ભાર મૂક્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત દ્વારા નાના ઉભડા ગામમાં સ્વચ્છતા અને વિકાસના કામો માટે રૂ. 10 લાખની વિશેષ સહાય મંજૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચ સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
