રાજ્યભરમાં આજે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપાં આપી બાળકને પોલીયો મુક્ત બનવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો.
સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઇકાલે પલ્સ પોલિયો કાર્યક્રમ 2021ની શરૂઆત રાષ્ટ્રપતિ ભવનમાં એક બાળકને પોલીયોના ટીપા પીવડાવીને કરાવી હતી. પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત દેશના લગભગ 17 કરોડ જેટલા 5 વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે.
રાજ્યમાં શરુ થયેલા પોલિયો નાબુદી અભિયાન હેઠળ રાજ્ય સરકાર સમયાંતરે પોલિયો રવિવાર કાર્યક્રમનું આયોજન કરે છે. જે અંતર્ગત 31 જાન્યુઆરીને રવિવારના રોજ 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપાં આપી બાળકને પોલીયો મુક્ત બનવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. દેશનું ભવિષ્ય હવે ક્યારેય પણ પોલિયોનો શિકાર ના બને તેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની નેમ છે. ત્યારે આજે ભાવનગર રેડક્રોસ ખાતે રસી લેવા આવતા બાળકોને બે ટીપાંની સાથે રમકડા પણ આપવામા આવી રહ્યા છે. જ્યારે માતા-પિતા પોતાના બાળકોને પોલિયોની રસી અપાવીને પોલિયો મુક્ત ગુજરાતના સરકારના અભિયાનને સાર્થક કરી રહ્યા છે.
આજે પંચમહાલ જિલ્લામાં પણ પલ્સ પોલિયો રસીકરણ માટે કુલ 1 હજાર 120 પોલીયો રસીકરણ બુથનું આયોજન કરવામાં આવ્યું છે. એક પણ બાળક પોલીયો રસી લેવાથી વંચીત ન રહે તે માટે કુલ 2 હજાર 918 આરોગ્ય કાર્યકરો, 1 હજાર 238 આંગણવાડી વર્કર તેમજ 216 જેટલા સુપરવાઇઝર આ કામગીરીમાં જોડાયા છે. તો પોરબંદર જિલ્લાના 397 બુથ પર 5 વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. જયારે સોમવાર તથા મંગળવારના રોજ 588 ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને પોલીયોના ટીપા બાકી રહી ગયેલા બાળકોને આપવામાં આવશે.
