રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨નું શૈક્ષણિક કાર્ય ૧૧મી જાન્યુઆરીથી શરૂ
Live TV
-
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા રહેશે યથાવત. માસ પ્રમોશન નહીં અપાય, જેટલું ભણાવાશે એટલી જ પરીક્ષા લેવાશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી... બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસમાએ જણાવ્યું હતું કે, આગામી ૧૧મી જાન્યુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે શાળા કોલેજોએ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને એ માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે.
કોરોના સંક્રમણને રોકવા માટે શાળામાં થર્મલ ગન, સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા કરવાની રહેશે. શિક્ષણમંત્રીએ વધુમાં જણાવતા કહ્યું કે, શાળાએ આવતા વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લઈ પત્રકમાં મંજૂરી આપવાની રહેશે.
જો કે વિદ્યાર્થીઓ માટે શાળામાં હાજરી ફરજીયાત રહેશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલમાં જે ઓનલાઈન શિક્ષણ શરૂ છે તે યથાવત રહેશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે તેટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે. જો કે અન્ય ધોરણના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.
