રાજ્ય ચૂંટણી કમિશનરઃ 6 મહાનગરપાલિકાઓમાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે
Live TV
-
રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે રાજ્યની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી. સંજય પ્રસાદે જણાવ્યું હતું કે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ 6 મહાનગરપાલિકાઓ માટે આગામી તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે રાજ્યની 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને તેની મતગણતરી આગામી બીજી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ ઉપરાંત સરકારના જુદાં-જુદાં વિભાગો સાથે પણ ચૂંટણી પંચ દ્વારા બેઠકો યોજવામાં આવી હતી. જેમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવામાં આવનાર હોવાથી મતદાન મથકો ઉપર તહેનાત ચૂંટણી સ્ટાફ તેમજ પોલીસ કર્મચારીઓને Face Shieldથી લઈને સેનિટાઇઝર પણ આપવામાં આવશે. આ ઉપરાંત દરેક મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેને પગલે સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત સહિતની બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
