વડોદરા ન્યૂઝ: જિલ્લામાં સ્વચ્છ ગુજરાત અભિયાન; સરકારી કચેરીઓમાં અધિકારી-કર્મીઓએ શપથ લીધા
Live TV
-
વડોદરા જિલ્લામાં સ્વચ્છ ગુજરાત અભિયાન બન્યું જન આંદોલન
વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન રંગ લાવી રહ્યું છે. એક તરફ આગામી દીપાવલિ પર્વ અંતર્ગત ગૃહિણીઓ દ્વારા ઘરની સફાઇ કરવામાં આવી છે તો બીજી તરફ ગામની પણ સામુહિક સફાઇ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ જિલ્લામાં એક જ દિવસમાં 269 સ્થળોએ સફાઇ કામગીરી કરી 732 કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લામાં સ્વચ્છ ગુજરાત અભિયાન જન આંદોલન બની રહ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જણાવ્યું કે, સોમવારના રોજ ૨૬૯ સ્થળોએ થયેલી સફાઇ ઝૂંબેશમાં ૩૨૨ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું હતું. તેમની સાથે ૨૧૪ જેટલા સ્વચ્છતાકર્મીઓ પણ જોડાયા હતા. વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.
વડોદરા શહેર-જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારી-કર્મીઓએ શપથ લીધા
ખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓકટોબરના રોજ પ્રતિ વર્ષ “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગર પાલિકા તેમજ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્યા હતા. મેયર પિન્કીબેન સોની, જિલ્લા કલેક્ટર અતુલ ગોર, મનપા કમિશનર દિલીપ રાણા, ચીફ એકાઉન્ટન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. શહેરની ખંડેરાવ માર્કેટ વિભાગની તમામ કચેરીઓ ઉપરાંત તમામ ઝોન અને વોર્ડ ઓફીસો તથા તમામ અર્બન હેલ્થ સેન્ટરો, પાણીની ટાંકીઓ, પાર્કસ એન્ડ ગાર્ડન તેમજ જિલ્લાના મુખ્ય સ્થળો તેમજ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.
