'વિશ્વ લીવર દિવસે' અમદાવાદ સિવિલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો-આંખોનું દાન
Live TV
-
ખેડબ્રહ્માના યુવાનને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી...સિવિલમાં સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર થતાં સ્વજનોએ અંગદાન કર્યું..
'વિશ્વ લીવર દિવસ' નિમિત્તે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 188મા અંગદાતા થકી લીવર, બે કિડની અને બંને આંખોનું દાન મળ્યું છે. ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડિયાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સિવિલમાં સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર થતાં સ્વજનોએ અંગદાન કર્યું હતું.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના વતની 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડીયાને તા.12-04-2025ના રોજ રાત્રે 8:30 કલાકે માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ત્યારબાદ સઘન સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારપછી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 16/04/2025 ના રોજ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 19-04-2025ના રોજ ડૉક્ટરોએ મનુભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. મનુભાઇના પિતા ઇંદ્રેશભાઇ તેમજ તેમના દાદાએ ખુબ વિચારના અંતે આવી પરીસ્થિતિમાં મનુભાઇના અંગોનું દાન કરી બીજાના શરીરમાં મનુભાઇ જીવીત રહેશે એમ સમજી બીજા ત્રણ લોકોની જીંદગી બચાવવા અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટે શું કહ્યું ?
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અંગદાનના સેવાયજ્ઞ માટેની ટીમ સરકારની ગાઇડલાઇન મુજબ ICUમાં રહેલા દર્દીઓને બચાવવા તેમજ તેમાંથી જો કોઇ દર્દી કમનસીબે બ્રેઇન ડેડ થાય તો રાતદિવસ કાર્યરત રહી તેનુ મેનેજમેન્ટ કરી સગાને અંગદાન કરવા સમજાવે છે અને એ રીતે બીજા પાંચથી આઠ લોકોની જીંદગી એક બ્રેઇન ડેડ દર્દીમાંથી બચાવવાનો પ્રયાસ કરે છે.
ડૉ.રાકેશ જોષીએ વધુમાં કહ્યું કે, મનુભાઇના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. મનુભાઇથી મળેલ બે આંખોનુ દાન સિવિલ મેડીસીટી કેમ્પસની જ એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ. આમ આ અંગદાનથી કુલ ત્રણ લોકોની જીંદગી આપણે બચાવી શકીશું.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 188 અંગદાતાઓ થકી કુલ 615 અંગોનું દાન મળ્યું છે. જેમાં 164 લીવર, 342 કીડની, 11 સ્વાદુપિંડ, 60 હ્રદય, 30 ફેફસા, 6 હાથ, 2 નાના અંતરડા અને 10 ચામડીનો સમાવેશ થાય છે. આ 188 અંગદાતાઓ થકી 597 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.