Skip to main content
Settings Settings for Dark

શિવરાજપુર બિચને રૂ.100 કરોડના ખર્ચે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો બિચ બનાવવામાં આવશે

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા જિલ્‍લાના શિવરાજપુરના બ્‍લુ ફલેગ બિચ ખાતે રૂ.20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્‍તીનું અનાવરણ કરી બિચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતું.

    તેમણે સમગ્રતયા રૂ. 100 કરોડના ખર્ચે આ બિચનો વિકાસ કરવાની નેમ વ્યકત કરતાં કહ્યું કે, ફેઝ-રમાં શિવરાજપુર બિચને રૂ.80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુકત બનાવવામાં આવશે. આમ, રૂ. 100 કરોડના ખર્ચે શિવરાજપુર બિચને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો બિચ બનાવવામાં આવશે. શિવરાજપુર બિચને ગોવાના બિચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્‍યું છે ત્યારે શિવરાજપુર બિચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્‍થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી રોજગાર પ્રાપ્ત થશે. પ્રવાસન સેકટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમી સાયકલને વેગ મળશે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાતની ઇકોનોમીને બુસ્ટ મળશે, તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. 
            
    મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્‍યાતિમાં હવે નવો કિર્તિમાન ગ્‍લોબલ ચોઇસ ફોર ટુરીઝમ પ્રસ્‍થાપિત કરવાની નેમ સાથે નવી પ્રવાસન નિતિ જાહેર કરી છે. મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, આ નવી ટુરીઝમ પોલીસીમાં ગુજરાતની પ્રાકૃતિક,સાંસ્‍કૃતિક અને ભૌગોલિક સમૃધ્‍ધિને ધ્‍યાનમાં રાખીને વિવિધ પ્રકારના ટુરીઝમ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, એમ.આઇ.સી.ઇ. ટુરિઝમ, એડવેન્‍ચર એન્‍ડ વાઇલ્‍ડ લાઇફ ટુરિઝમ, કોસ્‍ટલ એન્‍ડ ક્રુઝ ટુરીઝમ, રીલીજીયસ/ સ્‍પિરિચ્‍યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝડ એક્સપિરિયન્‍સ ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.   
         

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે તેમ જણાવતાં કહ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ અટક્યો નથી, રૂ. 27 હજાર કરોડના વિકાસકામોનો પ્રારંભ થયો છે. અમારી સરકારમાં પ્રજાલક્ષી ક્લ્યાણકારી અનેક નિર્ણયો લેવાયા છે. 

    પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના હસ્‍તે વિશ્વના અનેક મોટા પ્રોજેક્ટસ જેમાંના રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ, સી –પ્લેન સર્વિસ, રો પેક્સ સર્વિસ, ગુજરાતની પ્રથમ એઇમ્‍સ હોસ્‍પિટલ, મેટ્રો ટ્રેન પ્રોજેકટસ વગેરેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાત વિકાસ મંત્ર સાથે દેશનુ ગ્રોથ એન્‍જીન બન્યું છે. પાણીની વિવિધ યોજનાઓ તથા ગુજરાતમાં નિર્માણાધિન પાંચ ડિસેલિનેશન પ્લાન્ટ થકી ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.  પહેલા કોંગ્રેસના શાસનોમાં ખાતમુહુર્ત થતા અને લોકો વર્ષો સુધી કામોની રાહ જોતા હતા જ્યારે અમારી સરકારમાં ખાતમુહુર્ત અમે કરીએ છીએ અને તેનું તુરંત લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ એવું સમયબદ્ધ આયોજન છે. તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. 
            
    કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસની ક્ષિતિજ વિકસી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ‘‘ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ’’ બન્યું છે. આજે ભારતમાં થયેલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માં ૫૨% ઇન્વેસ્ટમેન્ટ માત્ર ગુજરાતમાં થયું છે. જેનાથી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગુજરાતની અલગ ઓળખ ઉભી થઇ છે અને ગુજરાતની વિશ્વપ્રતિષ્ઠા વધી છે. શિવરાજપુર બિચના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રવાસન અને મત્સયોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, શિવરાજપુર બિચને બ્લુ ફ્લેગ બિચની માન્યતા મળતા દ્વારકા જિલ્લાની મુલાકાતે વધુને વધુ પ્રવાસીઓ આવશે, જેથી સ્થાનિકોને વધુ રોજગારી મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, શિવરાજપુર બિચ ખાતે ફેઝ-૧ અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાયવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું રૂ.૨૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે.
            

    નવી ટુરિઝમ પોલીસી મુજબ ટુરિઝમ વિસ્તારમાં કોઈ હોટેલ બનાવશે તો સરકાર ૨૦ ટકા સબસિડી આપશે. આમ નવી ટુરિઝમ પોલીસી પ્રવાસનના વિકાસને વેગ મળશે. આ સાથે સ્‍થાનિક રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી રાજય સરકાર હોટેલો, રીસોર્ટસ, અને ટુર ઓપરેટરોને ટુરીસ્‍ટ ગાઇડસને નિયુકત કરવામાં સહયોગ કરશે. આ માટે હોટેલ-રીસોર્ટસને ટુરીસ્‍ટ ગાઇડસને નિયુકત કરવા માટે દર મહિને વ્‍યકતિદિઠ મહતમ રૂ.4000 ની નાણાંકિય સહાયતા છ મહિના સુધી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે.

     આ તકે સાંસદ પુનમબેન માડમે સરકારનો આભાર વ્‍યક્ત કરતા કહયું હતું કે, દ્વારકા જિલ્‍લો પશ્વિમ વિસ્‍તારનો છેવાડાનો જિલ્‍લો છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્‍વ હેઠળ હેઠળ આ જિલ્‍લાના વિકાસને વેગ મળ્યો છે.
            
    ગુજરાત ટુરીઝમ એવોર્ડ-2020માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તિર્થસ્‍થાનનો તેમજ શિવરાજપુર બિચને બેસ્‍ટ બિચનો ટુરીઝમ એવોર્ડ પ્રાપ્‍ત થયો છે જે મુખ્‍યમંત્રીના હસ્‍તે કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાને આજરોજ એનાયત કરાયા હતા. આ પ્રસંગે પ્રવાસન વિભાગના એમ.ડી. જેનુ દેવાને પ્રાસંગિક પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા જયારે કલેકટર ડો. નરેન્‍દ્રમીનાએ આભાર વ્‍યકત કર્યો હતો.
     

    આ કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણ આહિર, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, પુર્વ ધારાસભ્‍ય પબુભા માણેક, જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, ટુરિઝમ સેક્રેટરી મમતા વર્મા, પુર્વ જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, રાજકોટ રેન્‍જ ડીઆઇજી સંદિપસીંઘ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, અધિક નિવાસી કલેકટર જાની તથા પ્રવાસન ક્ષેત્ર સાથે સંકાળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ તથા દ્વારકા જિલ્‍લાના નાગરિકો ઉપસ્‍થિત રહયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply