શોખથી શરુ થયેલી ગૌ સેવાએ આજે સાંતેજના મહેન્દ્ર પટેલને ગાંધીનગર જિલ્લાના “શ્રેષ્ઠ પશુપાલક”નું અપાવ્યુ સન્માન
Live TV
-
ગાંધીનગર: પશુપાલન ક્ષેત્રે મહેનત અને નવીન પ્રયોગો કરવામાં આવે તો તે કેટલું નફાકારક બની શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામના ખેડૂત મહેન્દ્ર પટેલે પૂરું પાડ્યું છે. 2 ગાયોથી શરૂ કરેલી સફર આજે 80 જેટલી ગીર ગાયોના વિશાળ પરિવાર અને લાખોના ટર્નઓવર સુધી પહોંચી છે.
વર્ષ 2012માં મહેન્દ્રએ માત્ર પરિવાર માટે શુદ્ધ દૂધ મેળવવાના આશયથી 2 ગાય પાળી હતી. પશુઓ પ્રત્યેના લગાવ અને વ્યવસ્થિત આયોજનને કારણે આજે તેમના તબેલામાં 70 થી 80 ગીર ગાયો છે. મહેન્દ્ર પશુપાલનને માત્ર ધંધો નહીં પણ 'ગૌસેવા' માને છે.મહેન્દ્રભાઈએ તેમના તબેલાને પશુઓ માટે 'લક્ઝરી હોમ' જેવું બનાવ્યું છે.ઉનાળામાં ગાયોને ગરમી ન લાગે તે માટે ખાસ પંખા અને કૂલરની વ્યવસ્થા.તબેલાને માખી અને જીવજંતુ મુક્ત રાખવા 15-20 મરઘા પાળ્યા છે, જે દવા વગર તબેલાને સ્વચ્છ રાખે છે.ગાયોને રાસાયણિક મુક્ત અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે તેઓ પોતાના જ ખેતરમાં ઉગાડેલો પ્રાકૃતિક ચારો આપે છે.ગાયના છાણમાંથી 'વર્મિ કમ્પોસ્ટ' (અળસિયા ખાતર) બનાવી તેનું અન્ય ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે.હાલમાં 20 થી વધુ દૂધણી ગાયો દ્વારા રોજનું સરેરાશ 120 લીટર દૂધ ઉત્પાદન થાય છે. શુદ્ધ દૂધ, ઘી અને ખાતરના વેચાણ દ્વારા મહેન્દ્ર મહિને અંદાજે ₹2.5 થી 3 લાખની કમાણી કરે છે. આ વ્યવસાય દ્વારા તેઓએ અન્ય બે પરિવારોને પણ સ્થાયી રોજગારી પૂરી પાડી છે.
"જો આપણે પશુઓના સ્વાસ્થ્ય અને આહારનું ધ્યાન રાખીએ, તો પશુપાલન એ ખેતી સાથે પૂરક આવકનો શ્રેષ્ઠ સ્ત્રોત બની શકે છે." - મહેન્દ્ર પટેલ.પશુ સંવર્ધન અને ગીર ઓલાદની જાળવણીમાં મહેન્દ્રના વિશિષ્ટ પ્રદાનને ધ્યાને રાખીને, ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા તેમની ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે પસંદગી કરવામાં આવી છે. આવતીકાલે પશુપાલન મંત્રી જીતુ વાઘાણીના હસ્તે તેમને આ ગૌરવશાળી પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
