સુરત પૂરના અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું
Live TV
-
રાજ્યમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સુરત શહેર તથા જિલ્લાના અનેક વેપાર એકમોને વ્યાપક આર્થિક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાંથી વેપારીઓને બહાર લાવવા અને સ્થાનિક અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક 'પુનઃવસન સહાય પેકેજ' જાહેર કર્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પેકેજની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, લારી-રેકડી ધારકોથી લઈને મોટા વેપારીઓ સુધીના તમામ અસરગ્રસ્તોને સરકાર સહાય આપશે.
સહાય પેકેજની મુખ્ય જોગવાઈઓ:
સરકાર દ્વારા વેપારીઓના ટર્નઓવર અને દુકાનના પ્રકાર મુજબ સહાય નક્કી કરવામાં આવી છે:- લારી/રેકડી ધારકો: રૂ. 7,500ની રોકડ સહાય.
- નાની કેબિન (40 ચો.ફુટ સુધી): રૂ. 25,000ની રોકડ સહાય.
- મોટી કેબિન (40 ચો.ફુટથી વધુ): રૂ. 50,000ની રોકડ સહાય.
- પાકી દુકાન (GST રિટર્નધારક): રૂ. 1,00,000 સુધીની રોકડ સહાય.
ઉપરાંત, પાકી દુકાન ધરાવતા અને જીએસટી રિટર્ન ભરતા વેપારીઓને તેમના વાર્ષિક ટર્નઓવર મુજબ રૂ. 20થી 30 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય (મહત્તમ રૂ. 10 લાખ સુધી) આપવામાં આવશે. નોંધનીય છે કે, વેપારીઓએ ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી કોઈપણ એક જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા અને સમયમર્યાદા:
રોકડ સહાય માટે: અસરગ્રસ્તોએ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં સુરત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા ચીફ ઓફિસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. સહાયની મંજૂરી માટે સ્થાનિક કક્ષાએ ખાસ સમિતિની રચના કરવામાં આવશે.
વ્યાજ સહાય માટે: પેકેજનો ઠરાવ થયાની તારીખથી 6 માસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોનના પુરાવા સાથે અરજી કરવાની રહેશે.અન્ય મહત્વના નિર્ણયો:
વેરા માફી: સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાં એક વર્ષ માટે વેરો માફ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સફાઈ અભિયાન: શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે અન્ય મહાનગરોમાંથી 9 હજારથી વધુ સ્વચ્છતાદૂતોને સુરતમાં કામે લગાડાયા છે.
તાત્કાલિક સહાય: પૂર બાદ અત્યાર સુધીમાં 19,256 પરિવારોને ઘરવખરી અને 39,237 વ્યક્તિઓને કેશ ડોલ પેટે કુલ 13.15 કરોડ રૂપિયાની રોકડ સહાય ચૂકવી દેવામાં આવી છે.
ભવિષ્યનું આયોજન: ખાડી વિસ્તારમાં પૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે શહેરી વિકાસ અગ્ર સચિવના નેતૃત્વમાં એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે 'કોંક્રિટ એક્શન પ્લાન' તૈયાર કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સ્વયં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનીનો ક્યાસ કાઢ્યો હતો. રાજ્ય સરકારનો આ પ્રયાસ સુરતના વેપારીઓને ફરી બેઠા કરવા અને તેમની આર્થિક સ્થિતિ સધ્ધર કરવા માટેનો એક મજબૂત આધારસ્તંભ સાબિત થશે.
