સુરત: રંગમંચ અને કલાક્ષેત્રના કલાકારો દ્વારા થિયેટર ફેસ્ટનું આયોજન
Live TV
-
લોકડાઉન બાદ અને કોરોના સંક્રમણને ઘટતા સુરતના રંગમંચ અને કલાક્ષેત્રના કલાકારો દ્વારા થિએટર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. 28 ફેબ્રુઆરીએ છેલ્લું નાટક ભજવાશે.
કોરોના અને લોકડાઉનના લાંબા તબક્કા બાદ હવે સ્થિતિ મહંદઅંશે સામાન્ય થઈ છે. રાજ્યના લગભગ તમામ વેપાર ધંધાઓ ફરી એક વાર ધમધમતા થઇ ચુક્યા છે. પરંતુ રંગમંચ અને કલાક્ષેત્રના કલાકારો અસમંજસમાં હતાં કે નાટકો ફરીથી ક્યારે શરુ થશે અને કઈ રીતે શરુ કરવા? ત્યારે સુરતના કેટલાક નાટ્યકર્મીઓને એક નવો વિચાર આવ્યો કે, કેટલાક નાટકોના શો કરીને એક નવી શરૂઆત કરવી જોઈએ. આ વિચાર પર ચર્ચા વિચારણાના અંતે સુરત ખાતે થિયેટર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના પાંચ દિગ્દર્શકોના અલગ-અલગ પાંચ નાટકના શો રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલી જીવનભારતી શાળાના રંગભવન ખાતે આ થિયેટર ફેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 30 જાન્યુઆરીના રોજથી પ્રારંભ થઈ ચુકેલા આ એક મહિનાના થિયેટર ફેસ્ટમાં શનિવાર અને રવિવારે નાટકો ભજવવામાં આવશે. જ્યારે છેલ્લું નાટક 27 અને 28 ફેબ્રુઆરીના રોજ ભજવવામાં આવશે. આમ સુરતના નાટ્યકર્મીઓએ રંગમંચને ફરીથી જીવંત કરવા એક નવું સાહસ કર્યું છે.
