હળદરની પ્રાકૃતિક ખેતી કરી અમેરેલીના ખેડૂત ભીખુભાઈ બન્યા આત્મનિર્ભર, વેચી 400 મણ હળદર
Live TV
-
રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. બાગાયત વિભાગની બાગાયતી પાકોમાં મશીનરી ખરીદીમાં સબસીડીની યોજનાના લાભ થકી અમરેલી જિલ્લાના ચિત્તલ ગામના ખેડૂત ભીખુ દેવાની આત્મનિર્ભર બન્યા છે.
અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ભીખુભાઈએ ખેતીક્ષેત્રે નવો ચીલો પાડી સફળતા મેળવી છે. પ્રાકૃતિક ખેતીથી હળદરની ખેતી કરી અને ખેડૂત ભીખુભાઈએ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. લીલી હળદરની ખેતી કરતા એ ફક્ત ખેત ઉત્પાદન પૂરતી તેમની કામગીરીઓને સીમિત ન રાખી, જાતે જ શેલમ હળદર દળવાની શરુઆત કરી છે. શેલમ હળદરની ખેતી અને તેને દળવા સહિતની સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.
તેમણે કહ્યું હું છેલ્લા 6 વર્ષથી લીલી હળદરની ખેતી કરુ છુ, મારે મુખ્ય ખેતીકામ કપાસનું છે. જો કે, મને પ્રગતિશીલ ખેતીમાં રસ હોવાથી હું અવનવી ખેતી વિશે માહિતી મેળવતો રહું છું. આ દરમિયાન મને રામોદમાં લીલી હળદરની ખેતી કરતા ખેડૂત રાજુભાઈ પાસેથી હળદરની આ ખેતી વિશે જાણવા મળ્યું. તેમનો અભિપ્રાય લીધા બાદ લીલી હળદરની ખેતી કરતા અન્ય ખેડૂતોને પણ હું મળ્યો હતો ત્યારબાદ મેં લીલી હળદરની ખેતી શરુ કરી હતી. શરુઆતમાં હળદર દળાવવા માટે હું અમરેલી ખાતે જતો હતો પરંતુ તેમાં કિંમત મજૂરી સહિતની ખરાજાત વધી જતાં આર્થિક રીતે તે સ્થિતિ અનુકૂળ આવે તેમ ન હતી.
ખેડૂતે સરકારની યોજના થકી મળેલી સફળતા વિશે વાત કરતા ઉમેર્યું કે, આ બધી કામગીરી અને વિવિધ માહિતી મેળવતા મને બાગાયત વિભાગની યોજના વિશે જાણવા મળ્યું. મેં હળદર દળવા માટે પલ્વલરાઈઝરની ખરીદી માટે સબસીડી મેળવવા માટે બાગાયત વિભાગને નિયત અરજી આપી હતી. બજારમાં આ પલ્વરાઈઝરની કિંમત રુ.92 હજાર છે, પલ્વરાઈઝરની ખરીદી માટે મને બાગાયત વિભાગે 75 ટકા સબસીડી એટલે કે રુ.70 હજારની સહાય મળી છે.
આ મશીનના ઉપયોગ થકી અમે જાતે જ હળદર દળીને વેચાણ પ્રવૃત્તિ પણ કરી રહ્યા છીએ. ગત વર્ષે મેં આશરે 400 મણ હળદરનું વેચાણ કર્યુ હતુ. ઓર્ગેનિક હળદર પાવડરનો બજાર ભાવ પ્રતિ કિલો રુ.300 સુધી મળતો હોવાના કારણે આ ખેતીમાં આર્થિક રીતે પણ સારી સફળતા મળી છે.બાગાયત વિભાગની યોજના વિશે માહિતી આપતા નાયબ બાગાયત નિયામકશ્રી વાળાએ જણાવ્યુ હતુ કે, સરકારશ્રી દ્વારા બાગાયતી ખેડૂતોને મશીનરીની ખરીદી માટે 75 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ માર્ચ/એપ્રિલ મહિનામાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે અને ત્યારબાદ દસ્તાવેજી વિગતોના આધારે ખેડૂતોને સહાયતા આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના બાગાયતી ખેડૂતો આ વર્ષે આ યોજનામાં લાભ મેળવી શકે છે.