૨૭મી એ પ્રબુધ્ધ નાગરિક સંમેલન તથા ૨૮મી થી જનસંપર્કનો પ્રારંભ થશે
Live TV
-
તારીખ ૨૭મી મે થી ૧૧મી જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સુશાસનના ચાર વર્ષની ઉજવણી.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે, ૨૬મી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સુશાસનના ૪ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ૪ વર્ષોમાં દેશ નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે. વૈશ્વિક ફલક પર ભારતનું પ્રભુત્વ વધ્યુ છે. વિકાસ અને ગરીબ કલ્યાણની યોજનાઓ થકી ભારત દેશ આગળ વધી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના દિશા-નિર્દેશ થકી સમગ્ર દેશભરમાં ૪ વર્ષના સુશાસનની ઉજવણી થનાર છે. સમગ્ર ગુજરાતમાં તારીખ ૨૭મી મે થી ૧૧મી જૂન સુધી વિવિધ કાર્યક્રમો જેવા કે પ્રબુધ્ધ નાગરિક સંમેલન, જનસંપર્ક, ઘર ચલો અભિયાન, લાભાર્થી સંમેલન, પત્રકાર વાર્તા જેવા કાર્યક્રમો સ્વરૂપે ઉજવણી હાથ ધરાશે.
વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના વિપક્ષના નેતા ગૌમાતા સંદર્ભે તેમજ ઘાસચારા સંદર્ભે માથા-મેળ વગરની વાહિયાત વાતો માત્રને માત્ર હલ્કી પ્રસિધ્ધિ મેળવવા માટે કરી રહ્યા છે. તેમના આવા પાયા વગરના આક્ષેપોને ભાજપા વખોડે છે. બનાસકાંઠામાં ગૌશાળા ચલાવતી સામાજીક સંસ્થાઓના પ્રશ્નોનો સુખદ્ ઉકેલ આવ્યો છે. તેમાં કોંગ્રેસના પેટમાં શા માટે તેલ રેડાય છે ? પાંજરાપોળ-ગૌશાળા-મુંગા પશુઓનું ભાજપા જતન કરી રહી છે. ૨૫ લાખ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે અને ૧૬ લાખ કિલોગ્રામ ઘાસચારાનું વિતરણ થઇ ગયેલ છે. ઘાસચારો મેળવનાર સંસ્થાઓને આ અંગે પૂર્ણ સંતોષ છે પરંતુ કોંગ્રેસ માત્રને માત્ર શાંત ગુજરાતના વાતાવરણ ડહોળવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં લાગેલી છે. કોંગ્રેસ દેશની જનતા અને ગુજરાતની જનતાને જવાબ આપે કે, ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા શ્રી લાલુપ્રસાદ યાદવ સાથે કોંગ્રેસ શા માટે ગઠબંધન કરે છે ? શા માટે કોંગ્રેસ તેમની સાથે સત્તામાં બેસે છે ? તેનો જવાબ જનતા માગે છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ફડીંગથી સમાજના અમુક લોકો ફરીથી એકવાર જ્ઞાતિજાતિના ઝગડા કરાવવા, વેરઝેર ઉભા કરવા નીકળી રહ્યા છે તેનાથી સમાજે ચેતવાનું છે. એક સમુહના લોકોની નહી પણ આ કોંગ્રેસની જ મહાપંચાયત છે એમ જણાવતા વાઘાણીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસના સહયોગથી તાગડધીન્ના કરતા લોકો સમાજ સમક્ષ ખુલ્લા પડ્યા છે. પ૦-૬૦ વર્ષથી કાર્યરત પાટીદાર સમાજની સામાજીક સંસ્થાઓને ભાંડનાર આવા મુઠ્ઠીભર લોકોને સમાજ ક્યારેય માફ નહી કરે. વિવિધ સામાજીક કાર્યો જેવા કે, આરોગ્ય સેવા, શિક્ષણ, સામાજીક આંદોલનો જેવા કે બેટી બચાવો અભિયાન, જળ અભિયાન વગેરેમાં સહભાગી બનતી સામાજીક સંસ્થાઓને આવા મુઠ્ઠીભર લોકો કોંગ્રેસના ઇશારે ભાંડે તે સમાજના લોકો જોઇ રહ્યા છે. કોંગ્રેસના ઇશારે એક વર્ગને અનામત અપાવવાના આંદોલન માટે કાર્યરત થયેલ મુઠ્ઠીભર લોકો અને તેમા જોડાયેલ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, કપીલ સીબ્બલજી ગુજરાતની જનતાને જવાબ આપે કે અનામત SC, ST કે OBC માંથી કોની અનામત ઓછી કરીને પાટીદાર સમાજને અનામત અપાવવા માંગો છો ? કોંગ્રેસની જ્ઞાતિજાતિ વચ્ચે ભાગલા પડાવી વેરઝેર ઉભા કરવાની અને વોટબેન્કની રાજનીતિ સમાજ સમક્ષ ખુલ્લી પડી છે. ભાજપાએ બીન અનામત સમાજો માટે યુવા સ્વાવલંબન યોજના, બીન અનામત આયોગ અને નિગમની રચના કરી છે અને હજારો લાભાર્થીઓને તેના લાભ મળી રહ્યા છે. પાટીદાર સમાજને કેવી રીતે અનામત આપશો તે આ મહાપંચાયતના કાર્યક્રમમાં કોંગ્રેસ જાહેર કરે તેવી માંગણી શ્રી વાઘાણીએ કરી હતી.
ગુજરાતની જનતાએ ભાજપાને જાણી છે, જોઇ છે, તેમની વિકાસલક્ષી કાર્યપ્રવૃત્તિથી વાકેફ છે માટે જ ગુજરાતમાં સતત છઠ્ઠીવાર સરકાર બનાવી છે. ભાજપા સમાજ સેવા માટે કટિબધ્ધ છે અને સતત કાર્યરત છે. સુજલામ સુફલામ જળસંચય યોજનાને મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ કોંગ્રેસથી સહન થાય તેમ નથી માટે માત્રને માત્ર સસ્તી પ્રસિધ્ધિ માટે હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવેલી કોંગ્રેસના નેતાઓ છાશવારે વાહિયાત નિવેદનો કરી રહ્યા છે તેમ વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ.
