CM રૂપાણીએ અરવલ્લી જિલ્લાના વિકાસલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું
Live TV
-
રૂપિયા 144.66 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત જ્યારે ઈજનેરી કોલેજમાં તૈયાર થયેલા રૂપિયા 14.40 કરોડનું કુમાર છાત્રાલય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિકાસલક્ષી કાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મોડાસા શહેરમાં આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર યોજના અમલી થવાની છે, જે માટે મુખ્યમંત્રીએ રૂ.144.66 કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટર યોજનાનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ સરકારી ઇજનેરી કોલેજ ખાતે રુ.14.40 કરોડના ખર્ચે તૈયાર થયેલ કુમાર છાત્રાલય, રુ. 3 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના મકાન તેમજ 1.17 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘેટાં-બકરા સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં માનવી, ત્યાં ત્યાં વિકાસના સંકલ્પ સાથે સરકાર વિકાસલક્ષી કાર્યો કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, મોડાસા શહેરમાં ઘરે ઘરે રાંધણ ગેસ પણ પહોંચી ગયો છે. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, મોડાસા નગર પાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ તથા અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
