CM રૂપાણીએ સોશિયલ મીડિયા થકી સરકારી યોજનાઓની નક્કર રૂપરેખા આપી
Live TV
-
મુખ્યમંત્રીએ કહ્યું સરકારની યોજનાઓ દ્વારા માણસ ખરા અર્થમાં સુખી, સમૃધ્ધ અને સંપન્ન બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા ફરી એક વખત જનસંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજ દિન સુધી ગરીબોનાં નામે અનેક સ્લોગન અપાયા છે પરંતુ નક્કર યોજનાઓનો વિચાર ન થયો. માત્ર વોટબેંક રીતે ગરીબોનો વિચાર થયો. જોકે નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ ગરીબોને ગરીબી રેખામાંથી બહાર કાઢવા નક્કર યોજનાઓનો પ્રારંભ કર્યો.
મુખ્યમંત્રીએ પોતાના જનસંવાદમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, શૌચાલય યોજના, જનધન યોજના, ઉજ્જવલા યોજના, મા અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના અને આયુષ્માન યોજના ભારત યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવાસ યોજના અંતર્ગત વર્ષે પાંચ લાખ મકાનો અને પાંચ વર્ષમાં પચ્ચીસ લાખ મકાનો બનાવીને પ્રત્યેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળે એ માટે પણ સરકાર કામ કરી રહી છે. તો સાથે જ તેમણે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, યુવીન કાર્ડ, અન્નપૂર્ણા યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અંતે તેમણે દિકરીઓ માટે કુંવરબાઈનું મામેરું સહિતની અન્ય યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંતે તેમણે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ નક્કર યોજનાઓ બને જેમાં પાયાની વસ્તુઓ તેમને પ્રાપ્ત થાય અને માણસ પોતે ખરા અર્થમાં સુખી બને, સમૃદ્ધ સંપન્ન બને એવો અમારો પ્રયત્ન છે.
