UPSC-2025માં સફળ થયેલા ગુજરાતના 35 યુવાનોનું સન્માન: નાયબ મુખ્યમંત્રીએ જમીન સાથે જોડાયેલા રહી સેવા કરવા કરી અપીલ
Live TV
-
યુપીએસસી (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025માં સફળતા મેળવનાર ગુજરાતના 35 તેજસ્વી ઉમેદવારો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સફળ ઉમેદવારો અને તેમના પરિવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે UPSCમાં ગુજરાતી ઉમેદવારોનું નામ ભાગ્યે જ જોવા મળતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને સ્પિપા (SPIPA)માં કરવામાં આવેલા જરૂરી બદલાવોને કારણે આજે એક જ વર્ષમાં 35 ઉમેદવારો સફળ થયા છે, જે એક રેકોર્ડ છે.અધિકારી બન્યા બાદ પણ પોતાના મૂળને ન ભૂલવા અને હંમેશા જમીન સાથે જોડાયેલા રહી લોકોના દિલમાં સ્થાન જાળવી રાખવા તેમણે અપીલ કરી હતી.સફળ ઉમેદવારોને તેમના કાર્યક્ષેત્રની વહીવટી સમસ્યાઓના પ્રેક્ટિકલ ઉકેલ લાવવા માટે સરકારને સૂચનો આપવા જણાવ્યું હતું, જેનું અમલીકરણ આગામી દિવસોમાં કરવામાં આવશે. સ્પિપાના મેનેજિંગ ડિરેક્ટર અંજુ શર્માએ ઉમેદવારોને માર્ગદર્શન આપતા કહ્યું કે, તેઓ શાસક નહીં પરંતુ જનતાના સેવક બનીને કામ કરે અને નવા ભારતના ઘડતરમાં યોગદાન આપે.સ્પીપાના ડિરેક્ટર જનરલ હરિત શુક્લાએ જણાવ્યું હતું કે, સ્પિપા દ્વારા અત્યાર સુધીમાં કુલ 348 ઉમેદવારોએ UPSC પરીક્ષા પાસ કરી છે. આગામી સમયમાં રાજ્ય સરકારની મદદથી ગાંધીનગર ખાતે વધુ એક નવું સેન્ટર શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ અને સફળ ઉમેદવારોના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
