કચ્છનું વિરાણીયા ગામ બન્યું કોરોના મુક્ત
Live TV
-
વિરાણીયા ગામ માત્ર 1000 જેટલી વસ્તી ધરાવે છે. ગામના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા કોરોના સામે શરૂઆતથી જ સતર્ક હતા. મહેનત અને પ્રતિબંધ હોવા છતાં કોરોના ગામમાં પ્રવેશ્યો. ગામમાં પોઝિટિવ કેસની સંખ્યા 27 જેટલી થઈ ગઈ. સરપંચ, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે સતત કોરોનાને નાથવાના પ્રયત્નો કર્યા. બધાએ સાથે મળી ત્રણ-ટી, ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટના અભિગમને અપનાવી તેનું અમલીકરણ શરૂ કર્યું. આખરે તેમનો આ જુસ્સો, જહેમત અને જનભાગીદારીએ રંગ રાખ્યો અને ટૂંક જ સમયમાં વિરાણીયા ગામ કોરોના મુક્ત બન્યું
કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું, ગામમાં ફેરિયાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા. ગ્રામ પંચાયત દ્વારા પણ માસ્ક વિતરણ કરવામાં આવ્યું, ગામમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું, લોકોને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું. ત્રણ-ટી ના અભિગમમાં પહેલા ટ્રેસ અંતર્ગત આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વે કર્યા. પોઝિટિવ દર્દીઓને ઘેર જ હોમકવોરન્ટાઈન કરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા અપનાવેલ ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ એમ ૩-ટી અભિગમનું સારું પરિણામ મળ્યું. તમામ લોકો સ્વસ્થ બન્યા, કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડી કે કોરોનાના કારણે કોઇ જાનહાની થઈ નહીં. પંચાયતે જે ત્વરિત પગલાં લીધા અને ગ્રામજનોએ પણ જે જાગૃતિ દાખવી સહકાર આપ્યો તેના થકી જ કોરોનાને મ્હાત આપવી શક્ય બની. આમ સરકાર, ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ તમામના સહિયારા પ્રયાસથી કોરોના સામેનો આ જંગ જીતી નાનકડું વિરાણીયા ગામ કોરોના મુક્ત બન્યું.