યૂક્રેનના પ્રથમ નાયબ વિદેશમંત્રી એમિન ઝાપારોવા આજે ભારત પહોંચ્યા
Live TV
-
યૂક્રેનના પ્રથમ નાયબ વિદેશમંત્રી એમિન ઝાપારોવા આજે ભારત પહોંચ્યા હતા. ચાર દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓ ભારતના વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્મા સાથે વાતચીત કરશે. બેઠકમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. યૂક્રેનની વર્તમાન સ્થિતિ અને પરસ્પરના હીતોના સંદર્ભમાં વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા થઇ શકે છે. ઝોપારોવા વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી સાથે પણ બેઠકમાં ભાગ લેશે. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી ઉપ સલાહકાર વિક્રમ મિસ્ત્રી સાથે પણ ઝાપારોવા ચર્ચા કરી શકે છે. ગયા વર્ષે ફાટી નીકળેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પૂર્વી યુરોપીયન દેશની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં ઝાપારોવાની ભારત મુલાકાતની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનના વિદેશ બાબતોના પ્રથમ નાયબ મંત્રી એમિન ઝાપારોવા 9 થી 12 એપ્રિલ સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.
ગયા વર્ષે 4 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરી હતી. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે યુદ્ધનો કોઈ સૈન્ય ઉકેલ ન હોઈ શકે અને ભારત કોઈપણ શાંતિ પ્રયાસોમાં સહયોગ આપવા તૈયાર છે. જો કે, ભારતે હજુ સુધી યુક્રેન પરના રશિયન હુમલાની નિંદા કરી નથી અને કટોકટીનો ઉકેલ મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા થવો જોઈએ તેવું જાળવી રહ્યું છે.
