લાહોર હાઈકોર્ટે બ્રિટિશ સરકારે બનાવેલો દેશદ્રોહોનો કાયદો કર્યો ખતમ
Live TV
-
લાહોર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં દેશદ્રોહના કાયદાને ખતમ કરી દીધો. લાહૌર હાઈકોર્ટના જસ્ટિસ શાહીદ કરીમે દેશદ્રોહ સંબંધિત પાકિસ્તાન પિનલ કોડની કલમ 124-Aએ રદ જાહેર કરી હતી. દેશના અનેક નાગરિકોની અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે. અરજીઓમાં દેશદ્રોહના કાયદાને એ આધાર પર પડકારવામાં આવ્યો હતો કે સરકારે તેનો ઉપયોગ તેના વિરોધીઓ સામે કર્યો છે.
અરજીઓમાં સરકાર વિરુદ્ધ બોલનારાઓ સામે દેશદ્રોહની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવાને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ કરીમ, જેમણે દેશદ્રોહના કાયદાને રદ કરવાનો ચુકાદો આપ્યો હતો, તે જ ન્યાયાધીશ છે જેમણે 2019માં પાકિસ્તાનના ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફને દોષિત ઠેરવ્યા હતા અને 2007માં બંધારણને બદલવા બદલ રાજદ્રોહના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી.
અરજીઓમાં દલીલ કરવામાં આવી હતી કે દેશદ્રોહનો કાયદો 1860માં ઘડવામાં આવ્યો હતો જ્યારે બ્રિટિશ શાસન હતું. આ કાયદાનો ઉપયોગ ગુલામો માટે થતો હતો, જેના હેઠળ તેઓ કોઈની પણ વિરુદ્ધ કેસ દાખલ કરી શકતા હતા. અરજીમાં જણાવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનનું બંધારણ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે, પરંતુ તેમ છતાં શાસકો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કલમ 124-A લગાવવામાં આવે છે.
